વિશ્વમાં સિંહ એક એવુ વન્ય જીવ છે જે રોયલ પ્રાણીમાં ગણવામાં આવે છે. સિંહ જંગલનું ગૌરવ છે સિંહની એક ડણકથી આખું જંગલ કાંપે છે. અમથું થોડું સાવજને જંગલના રાજાની પદ્દવી મળી છે. સિંહ વગરનું જંગલ કલ્પના કરવી જ મુશ્કેલ છે. અને ગીર સાસણમાં સિંહો હોવું એ આપના દેશ અને ગુજરાત માટે ખુબ જ ગૌરવની વાત છે. પરંતુ આપણે આજે સિંહોને જે હાલાત જોઈ રહ્યા છે અથવા તો જે હાલત આપણે સાવજ માટે ઉભી કરી છે. તે જોતા લાગી રહ્યું છે કે થોડા વર્ષો બાદ સિંહો જંગલ છોડી આસ પાસ ના ગામો માં ઘૂમતા જોવા મળશે. અને આજે ઘણા ખરા સિંહો આજે હાલત માં છે. આ પરિસ્થિતિ માટે આપણે ખુદ જવાબદાર છીએ આપણે જ સિંહોને તેમનું પ્રાપ્તિસ્થાન છોડવા મજબુર કરી રહ્યા છીએ. જેના કારણે આજે 60% સિંહો જંગલની બહાર વસવાટ કરવા લાગ્યા છે.

હાલમાં છેલ્લા કેટલાક સમયથી જંગલમાં સિંહોને પરેશાન કરતા અને તેમને પાલતું હોય તેવા હાલ કરી તેના વિડીઓ બનાવાઈ રહ્યા છે. અને જે રીતે આવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે એ કોઈ આનંદ નહી પણ માનવીય વિકૃતિના કારણે છે. હાલ માં જ એક વિડીઓ વાયરલ થયો જે જોઈ હર કોઈ અચંબિત થઇ પડ્યું એક ઝાડ સાથે શિકારને બાંધી દેવામાં આવ્યું અને ત્રણ સિંહો જે આ શિકારની મોજ ઉડાવવા આવ્યા ત્યારે વિકૃતિ ધરાવતા માણસો એ તેને ડરાવી, ધમકાવી શિકાર ખાતા રોકવામાં આવી રહ્યા છે. સિંહ સામે થઇ ને બે વખત પોતાના બચાવ માટે અવાજ ઉઠાવે છે પરંતુ જે રીતે તેને ધમકાવી રહ્યા છે એ જોતા સિંહ જંગલમાં નાસી જવાનું પસંદ કરે છે. જાણે કહેતો હોય કે ” માણસ સામે શું લડવું ? ” અને પછી જંગલ માં જતા રહે છે. આટલી વિકૃતી માણસ માં કેમ આવી એ પણ એક સવાલ છે.
એક સમયે જંગલના રાજાકહેવાતા આ સિંહોને મજબુર બનાવવાનું માણસને કેમ સુઝ્યું ..? આવા એક નહી પણ સેંકડો વિડીઓ વાયરલ થઇ રહ્યા છે જેમાં સિંહોની હાલત અને જંગલમાં સુરક્ષિતતા પર સવાલ ઉભા કરે છે.

– શું ખરેખર જંગલમાં સિંહો પોતાને સુરક્ષિત માને છે ?
-શિકાર માટે શોધ કરતા કરતા શા માટે ગામડાઓ અને આસપાસના ખેતરોમાં ફરતા સિંહો જોવા મળે છે ?
આ કોઈ એક દિવસ નહી પરંતુ છેલ્લા કેટલાક સમયથી રોજબરોજ ની ઘટના બનતી જાય છે. ગામો માં અને રસ્તાઓ પર સિહો ના ટોળા પણ જોવા મળે છે. તો વિકૃતિ ધરાવતા લોકો જંગલોમાં શિકાર ની લાલચ આપી સિંહોને કનડગત કરતા હોય છે. વન વિભાગ આવા વિડીઓ બનવાનાર ને પકડી પણ પાડે છે. અને કડક સજા થાય છે પરંતુ જેટલો સ્ટાફ જંગલની સુરક્ષા કરવા માટે છે એના કરતા આવા વિડીઓ બનાવનાર જાણે વધુ હોય એમ રોજ એક નવો વિડીઓ વાયરલ થાય છે. આનું કારણ એ પણ હોય શકે કે વન વિભાગના કડક કાનુન નો ખૌફ જ રહ્યો ન હોય અને લાગવગ ના જોરે જંગલમાં ઘુસી આવા વિડીઓ બનાવી મોજ માણવી યુવા વર્ગ ની આદત બનતી જાય છે.

આવી ઘટનાની પાછળની જો સચોટ કારણ જાણવાની કોશિશ કરીએ તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ સિંહ દર્શન માટે હજારો રૂપિયા ચૂકવી અગાઉથી રજીસ્ટ્રેશન કરાવે છે. પરંતુ જયારે સિંહ દર્શન માટે બે થી ચાર કલાક જેટલો સમય વન વિભાગ દ્વારા સિંહ સિહ દર્શન માટે લઇ જવામાં આવે છે. ત્યારે 60% પ્રવાસીઓ સિંહ દર્શન કર્યાવગર નિરાશ થઇ ને પાછા ફરે છે. જયારે સાસણ ની અંદર આવેલ અનેક હોટેલ અને રિસોર્ટ માં મોડી રાત્રે ખાસ લાયન શો નું ગેરકાયદેસર આયોજન કરી પ્રવાસીઓ ને સિંહ જોવાનો આનંદ આપવામાં આવે છે. એ પણ તગડી રકમ લઇ ને આ અંગે વન વિભાગ અજાણ હોય એ માની ન શકાય ? એ પણ વાસ્તવિકતા છે. કારણકે મોટાભાગના રિસોર્ટ રાજકારણીઓ અને અમલદારોના લાગવગ થી બનાવેલા છે. અને લાગવગના જોરે જ લાયન શો નાં આયોજન થતા હોય છે. વન વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ ના સહયોગ વગર આવા ગેરકાયદેસર લાયન શો સભવ જ નથી. પરંતુ અંગે વન વિભાગ પણ લાચાર સ્થીતીમાં છે અને મુક પ્રેક્ષક બનીને જોયા કરે છે. ઉપર થી મળેલા આદેશો અને સતત ધણધણતા ફોન ના કારણે વન વિભાગ સિંહો ની સુરક્ષા કરે કે આ બાબુઓની ? એ પણ હકીકત છે. અંતે જયારે આવી કોઈ ઘટના સામે આવે કે તરત જ વન વિભાગ તરફ આંગળી ચિંધવામાં આવે છે. આમ વન વિભાગ ની હાલત સુડી વચ્ચે સોપારી જેવી છે.

હાલ માં જ એક વાયરલ વિડીઓ નો આરોપી ઝડપાયેલ જેની પાસેથી 170 જેટલા સિંહ ના લાયન શો ના વિડીયો મળી આવ્યા હતા. અને તેની સાથે અન્ય 5 થી 10 સાગરીતો હોવાનું પણ તેને જણાવેલ હતું એ જ બતાવે છે કે ગીર સાસણ પાછળ સરકાર દર વર્ષે કરોડો ખર્ચ કરે છે એ જંગલ વન્ય જીવો માટે ખરેખર કેટલું સુરક્ષિત છે ? જો એક વ્યક્તિ પાસેથી એટલી મોટી સંખ્યામાં વિડીઓ મળી આવતા હોય તો વન વિભાગ અન કેટલાક કર્મચારીઓની રહેમ તળે જ થયું હોવાની આશંકા કઈ ખોટી નથી. કારણકે ઝડપાયેલ શખ્સ ખુદ નિવુર્ત આરએફઓ નો દીકરો હોવાનું સામે આવ્યું હતું અને એ જ લાગવગ ના જોરે આવા કૃત્યો એ કરતો રહ્યો હતો.

આવી જ રીતે સિંહોની જો કનડગત થતી રહી તો દિવસે ને દિવસે સિંહ જંગલ છોડી ગામો તરફ આવી ચડશે અને આમ નિર્દોષ લોકોના જાન પર જોખમ વધશે સાથે સાથે સિંહો નું જીવન પણ ખતરા માં પડશે. કારણકે માનવ પોતે સ્વ બચાવ માં સિંહો પર હુમલા કરી શકે એ સભાવના ખોટી તો નથી જ. આમ માનવ અને જંગલી પ્રાણીઓ વચ્ચે નો સંઘર્ષ વધતા જશે. આ અંગે મેંદરડા ના મંગલ સિંહ કહે છે અમારા ગામ માં અઠવાડિયે બે થી ત્રણ વખત સિંહ આવે છે અમે ખેતરોમાં કામ કરતા હોઈએ ત્યારે પણ આવે છે. અમને એનો કોઈ ડર નથી. પરંતુ જો તે ખીજાય ને આવ્યા હોત તો જ અમારા પાલતું પશુ પર હુમલો કરે છે . હાલમાં જ છેલ્લા 6 માસ થી લગભગ દર અઠવાડ્યે બે વખત એવા સમાચાર મળે જ છે કે કોઈ ગામડામાં સિંહો ઘુસ્યા હોય ને લોકો છત પર ચડી સિંહ ને ભગાડવામાં આવતા હોય યાતો સિંહ ને ડરાવવા ની કોશિશ કરતા હોય સિંહ તેમના પાલતું પશુ ને કે બાળ બચ્ચાને ખાઈ જાય તે કેમ પાલવે ?

આમ સિંહો ખોરાક અને પાણી શોધ કરતા વધુ તો લાયન શોમાં સરકસના પ્રાણી જેવી હાલત થી નાસીને આવા ગામડા તરફ આવતા હોય એ જ વાસ્તવિકતા છે. જે આપણે સ્વીકારવી રહી, જંગલમાં સિંહોની સંખ્યા વધી છે એટલે જંગલ ટુકુ પડી રહ્યું છે. પરંતુ સાથે સાથે પોતાની જાત ને સુરક્ષિત નહી હોવાનું માનીને પણ જીવ બચાવવા જંગલ ની બહાર નીકળી રહ્યા છે. બીજી તરફ જોઈએ તો વન વિભાગ પાસે એટલો પુરતો સ્ટાફ નથી કે આટલી મોટી સંખ્યમાં સિંહો ની સુરક્ષા ની જવાબદારી નિભાવી શકે.

આ અંગે લાયન લાઈફ પર સશોધન કરનાર જુનાગઢ ના જાણીતા ડૉ.જલપન રૂપાપરા કહે છે કે ગુજરાત સરકાર પાસે આઈ. એફ.એસ કેડર ના અધિકારીઓ હોવાછતાં ગીર ફોરેસ્ટ માં મુખ્ય અધિકારીઓની જગ્યાઓ પર ઇન્ચાર્જ ઓફિસર રાખવામાં આવે છે. જંગલ માં પૂરતા સ્ટાફ ની કમી છે. જેન કારણે લાયન શો રોકવા મુશ્કિલ બન્યા છે. વન વિભાગ પોતાની રીતે પુરતી કોશીસ કરે છે પરંતુ સ્ટાફ ની કમી સામે લાચાર છે ગીર જંગલ નો વિસ્તાર એટલે તો વિશાળ છે કે જરૂરિયાત કરતા માત્ર 60 ટકા સ્ટાફ જ વન વિભાગ પાસે છે. આ મતે ગુજરાત સરકાર જ તાત્કાલિક નિમણુક અને ભરતી કરી સિંહોના જીવ બચાવી શકે તેમ છે.

આપણા માટે ગૌરવ સમા સિંહ આજે લાચાર નજરે જાણે આપણને કહી રહ્યા છે કે અમને બચાવો અમારું અસ્તિત્વ જોખમ માં છે. સિંહોની આટલી દયનીય સ્થિતિ આ પહેલા ક્યારેય જોવા નથી મળી. જયારે જયારે આવા વાયરલ વીડીઓ સામે આવે છે. ત્યારે સૌ કોઈને આવા વિકૃત માણસો પર ઘૃણા આવે છે. પંરતુ સરકાર આ અંગે કેમ નિશ્ચિંત બની શકે તે સવાલ દરેકના ચેહરા પર આવે છે. હાલમાં જ હાઈ કોર્ટે સિંહોના વધતા મૃત્યુને લઇ ગુજરાત સરકારને ફિટકાર વરસાવી છે. હાઇ કોર્ટે સરકારને ટકોર કરી છે કે, સિંહોના અકુદરતી મોતનો મુદ્દો એ અતિ ગંભીર અને સંવેદનશીલ છે. સરકાર આ મુદ્દાને હળવાશથી લે નહીં. માત્ર રિપોર્ટ કરવા ખાતર રિપોર્ટ કરે નહીં અને તેની ગંભીરતાને સમજવામાં આવે. સિંહોના મોતના કારણ અને તેને રોકવા માટેના શું પગલા લીધા અને સિંહોના મુદ્દે હાલમાં અમલમાં રહેલી માર્ગદર્શિકાનું પાલન થાય છે કે નહીં તે જણાવો. આ માટે હાઈ કોર્ટે ગુજરાત સરકાર ને ત્રણ હપ્તા નો સમય પણ આપ્યો હતો. તેમ છત્તા સિંહોની દુર્દશા માં કોઈ કમી નથી આવી. હવે લોકો અને વન્ય પ્રેમીઓ સિંહોન આવા વિડીઓ સામે લડત ચલાવવા એનજીઓ અને સોસીયલ મીડિયા થકી જાગૃતતા ફેલાવી રહ્યા છે.

હવે સમય એ જ કહે છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સિંહો ના અસ્તિત્વને લઇ જો કડક કાનુન નહી બનાવે તો વન્ય પ્રેમીઓ ને ઉગ્ર આંદોલન કરવા પડશે. અને સિંહોના બચાવ માટે આગળ આવવું પડશે. સિંહ આપણી ઓળખ છે સિંહો જ આપણું ગૌરવ છે. એમની સુરક્ષાની જવાબદારી આપણી છે. આવા લાયન શો ના હિસ્સેદાર થવાનું બંધ કરીએ અને સિંહોને તેમના જંગલમાં સુરક્ષિત રહેવા દઈએ.
રમણીય દરિયાઈ તટથી ઓળખાતું દીવ એ ઇતિહાસ અને સૌંદર્યનો અનોખો સમન્વય છે