11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 3,000થી વધુ કર્મચારીઓ અને સ્વયંસેવકોની ભાગીદારી
ગુજરાતની ધરતી પર વિશ્વમાં વિલક્ષણ ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો મહાભિનંદન તહેવાર ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. 10 થી 13 મે, 2025 વચ્ચે ગુજરાત વનવિભાગ દ્વારા 16મી સિંહ વસ્તી ગણતરી યોજવામાં આવી રહી છે, જેમાં રાજ્યના 11 જિલ્લામાં ફેલાયેલા 35 હજાર ચો.કિમી વિસ્તારમાં સિંહોની હાજરીને નોંધવામાં આવશે. આ અભિયાન માત્ર એક વસ્તી ગણતરી નહીં, પરંતુ ગુજરાતના ગૌરવ અને પરંપરા સાથે જોડાયેલું વૈજ્ઞાનિક, ટેકનોલોજીકલ અને લોકસહભાગી પ્રયત્ન છે.
સૌરાષ્ટ્રના ગીર અભ્યારણ્યથી લઈને નવિન વિકસાતી બરડા જંગલ સુધી, રાજ્યભરના અનેક વિસ્તારોમાં પ્રસરેેલા આ અભિયાન માટે ટ્રેઈન્ડ સ્ટાફ, 3 હજારથી વધુ સ્વયંસેવકો, અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ જ સંવેદનશીલ અને ચોકસાઈભર્યુ કામગીરી હાથ ધરવામાં આવશે. વિજ્ઞાન અને પરંપરાનું આ સંયોજન એ સાબિત કરે છે કે ગુજરાત માત્ર સાવજનું નિવાસ સ્થાન નથી, પણ વિશ્વભરમાં એશિયાઈ સિંહોના સંરક્ષણનું માર્ગદર્શક કેન્દ્ર છે.
રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો આગામી ૧૬મો વસ્તી અંદાજ-2025 સંભવિત તા.10 થી 13 મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં પ્રાથમિક વસ્તી અંદાજ મે મહિનાની તા.10 થી 11 અને આખરી વસ્તી અંદાજ તા.12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાના કુલ 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.
સિંહ ગણતરીમાં વપરાતી આધુનિક ટેક્નોલોજી:

- હાઈ રીઝોલ્યુશન કેમેરા અને કેમેરા ટ્રેપ્સ
- રેડિયો કોલર સાથે સિંહોની હિલચાલનું જીવંત અવલોકન
- e-GujForest એપ્લિકેશન: રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી માટે
- GIS સોફ્ટવેર: સિંહોની હિલચાલ અને રહેઠાણ પર વિશ્લેષણ
- વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતોની થશે નોંધ
- રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાનો કુલ 35 હજાર ચો.કિમી.વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવશે.
આ તમામ ટેક્નોલોજી મિળીને વસ્તી ગણતરીને વધુ ચોકસાઇ અને દૃશ્ય આધારે મજબૂત બનાવે છે.
રાજ્યમાં સૌપ્રથમ વર્ષ ૧૯૩૬માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.
ઈતિહાસ અને વંશાવળી: સિંહ ભારત સુધી કેવી રીતે પહોંચ્યો?

હજારો વર્ષો પહેલા હિમ યુગ દરમિયાન મધ્ય યૂરોપમાંથી સિંહની ઉત્પત્તિ થઈ હતી. આ હિમ યુગની સમાપ્તિ પછી ત્યાં ગાઢ જંગલો ઊગી નીકળતા સિંહ દક્ષિણ-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ એશિયા તરફ આગળ વધ્યો. ત્યાંથી આ સિંહ પેલેસ્ટાઇન અને ઈજિપ્તથી આફ્રિકા થઈને ભારત તરફ આગળ વધ્યો હતો. તેનો જનીનિક અભ્યાસ દર્શાવે છે કે, એશિયાટિક અને આફ્રિકન સિંહ ૫૫ હજાર અને 1 લાખ વર્ષ પહેલા છૂટા પડ્યા હતા.
નિષણતોના મંતવ્યાનુસાર સિંહ, ઇ.સ. 6 હજાર વર્ષ પૂર્વે ઉત્તર-પશ્ચિમ માર્ગ મારફતે ભારતમાં પ્રવેશ્યો હતો. પરંતુ સિંધ અને બલૂચિસ્તાન નજીકની સિંધુ ખીણની સંસ્કૃતિના ખોદકામ દરમિયાન કેટલીક સાબિતીઓ એવું દર્શાવે છે કે સિંહ ભારતીય ઉપખંડમાં ઇ.સ.ના 30 લાખ વર્ષ પૂર્વે પ્રવેશ્યો હતો. ઈસુના 600 વર્ષ પૂર્વે બુદ્ધના સમયમાં સિંહ સમગ્ર સિંધુ-ગંગાના મેદાનોમાં જોવા મળતો હતો, જે પશ્ચિમમાં સિંધથી માંડી પૂર્વમાં બંગાળ સુધી તેમજ ઉત્તરમાં હિમાલયની તળેટી સુધી અને દક્ષિણે નર્મદા સુધી તેની હદ હતી.
ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં સિંહ ક્યારે આવ્યો તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી. ભૂતકાળમાં હજારો વર્ષ પહેલાં, સૌરાષ્ટ્ર ચોમેર પાણીથી ઘેરાયેલું હતું અને અરબી સમુદ્રની ભુજાઓ જેવા ખંભાતનો અને કચ્છના બંને અખાત છીછરા પાણીથી એકબીજા સાથે જોડાયેલા હતા. મોટેભાગે જ્યારે આ છીછરા પાણીમાં માટીનું પુરાણે થયું હશે અને ભાલ અને નળ સરોવર પારો ક્ષારીય માર્ગ બન્યો હશે ત્યારે તે રસ્તે સિંહ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે. સૌથી જૂનામાં જૂની અપરોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે, તેણે જ્યારે માળવાના શક અને કાઠીયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેણે સુવર્ણમુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહવિક્રમ ચાલુ કર્યું હતું.
1936થી આજ સુધી: સંખ્યામાં સતત વધારો
ગુજરાતમાં સૌપ્રથમ 1936માં સિંહ વસ્તી ગણતરી થઈ હતી. દર પાંચ વર્ષે આ કાર્ય નિયમિત થઇ રહ્યું છે. છેલ્લા કેટલાક દાયકાના આંકડા નીચે મુજબ છે: આ આંકડાઓ રાજ્યના સિંહ સંરક્ષણના સફળ મોડેલને દર્શાવે છે. આ આંકડાઓ રાજય સરકાર જાહેર કરેલ છે.
વર્ષ | નોંધાયેલ સંખ્યા |
---|---|
1995 | 304 |
2001 | 327 |
2005 | 359 |
2010 | 411 |
2015 | 523 |
2020 | 674 |
ટેક્નોલોજીથી સજ્જ ગણતરી
આ વર્ષે ગણતરી વધુ આધુનિક અને ટેક્નોલોજીકલ સાધનોના સહારે થશે. તેમાં નીચેના સાધનોનો સમાવેશ થશે:
- હાઈ રીઝોલ્યુશન કેમેરા અને કેમેરા ટ્રેપ્સ
- રેડિયો કોલરથી સિંહોની સ્થિતિની માહિતી
- e-GujForest એપ્લિકેશનથી લાઈવ ડેટા એન્ટ્રી
- GIS સોફ્ટવેર દ્વારા સિંહોની હિલચાલ અને વિતરણનું વિશ્લેષણ
ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ

એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ ૧૦૦ ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.
સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવા શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ ૩,૦૦૦ જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવશે. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવશે.
બરડા અભયારણ્ય: હવે નવુ આશ્રયસ્થાન

“એક જ જગ્યાએ ગઠિત વસ્તી”ની પરિસ્થિતિ સામે રાજ્ય સરકારે બરડા અભયારણ્યને વિકલ્પ તરીકે વિકસાવવાનું શરૂ કર્યું છે, જ્યાં સંરક્ષણ સાથે વિતરણ પણ સુનિશ્ચિત થાય.
લોકભાગીદીરી અને ગ્રામીણ સંરક્ષણ મોડેલ
ઈકો-ડેવલપમેન્ટ કમિટીઓ
વન્ય પ્રાણી મિત્રો
શૈક્ષણિક કેમ્પો
સ્થાનિક સહભાગી મેનપાવર આ બધાના સહકારથી રાજ્ય સાવજ માટે વિશ્વમાં રોલ મોડલ બની રહ્યું છે.
“Make in India”ના લોગો સુધીના સફરનો ગૌરવ: એશિયાઈ સિંહનું પ્રતીક આજે મેક ઇન ઇન્ડિયા લોગો, પોસ્ટલ સ્ટેમ્પ્સ અને રાષ્ટ્રીય પ્રતિનિધિત્વ સુધી પહોંચ્યું છે. વિશ્વના એકમાત્ર ગીર અભયારણ્યમાં રહેતા આ સિંહો આજે એશિયા માટે પણ એક ગૌરવ બનેલા છે.
એશિયાઈ સાવજની ગણતરી 2025 માત્ર આંકડાની રમત નહીં, પરંતુ ગુજરાતના જંગલોના સંરક્ષણનું સચોટ દસ્તાવેજ છે. ટેકનોલોજી, ટીમ વર્ક અને લોકભાગીદારીના સમન્વયથી ગુજરાત ફરી એકવાર વિશ્વ સમક્ષ સાબિત કરશે કે “સિંહોનું વાસ્તવિક ઘર ગીર છે.” 2025ની આ વસ્તી ગણતરી માત્ર સંખ્યા જાણવાનો સાધન નથી, પણ એ ગુજરાતના કુદરતી વારસાની રક્ષા માટેની સતત જાગૃતિ અને પ્રયત્નોનું દર્પણ છે. વન વિભાગની કામગીરી, ટેક્નોલોજી અને લોકસહયોગના સહારે એશિયાઈ સિંહોની સંખ્યા સતત વધતી રહી છે – અને તે એશિયાની આ શાનને વધુ સુસંગત ભવિષ્ય તરફ લઈ જાય છે.