HomeWild Life Newsજાંબુઘોડા: વન્ય પ્રાણીઓના પાણી પીવાના સ્થાનો પર પવનચક્કી દ્વારા પાણી ભરાશે

જાંબુઘોડા: વન્ય પ્રાણીઓના પાણી પીવાના સ્થાનો પર પવનચક્કી દ્વારા પાણી ભરાશે

મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લામાં એક સમયે રાજવી રજવાડું જાબુંઘોડાનો વિસ્તાર હવે વન્ય વનસ્પતિસૃષ્ટિ અને વન્યપ્રાણીઓથી ભરપુર અભયારણ્ય છે. જાબુંઘોડા અભયારણ્ય ૧૩૦.૩૮ ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. ( થોડો ભાગ વડોદરા જીલ્લામાં પણ છે) જાબુંઘોડાને ૭ ઓગષ્ટ ૧૯૮૯માં આરક્ષિત જાહેર કર્યા બાદ સને ૧૯૯૦ માં ગુજરાત વનવિભાગ દ્વારા જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

જાંબુઘોડા રેન્જમાં વન્ય પ્રાણીઓને ખાલીખમ હોજ અને કુંડીઓ હોવા છતાં પાણી માટે ભટકવું પડતુ હતુ. ટેન્કર દ્વારા અંતરિયાળ જંગલ વિસ્તારમાં પાણી પહોંચાડવું મુશ્કેલ પડતુ હતુ. જેને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા પવનચક્કીઓ મૂકવામાં આવી છે જેના દ્વારા જમીનમાંથી પાણી ખેંચાયને હોજ અને કુંડીઓમાં ઠલવાશે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની શોધમાં પ્રાણીઓ માનવ વસ્તીમાં પહોંચી જતા હતા. આ ભયને કારણે વનવિભાગ દ્વારા પ્રાણીઓને જંગલમાં જ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશે વનવિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રકારની ટેકનોલોજી સૌરાષ્ટ્રમાં છે પરંતુ મધ્ય ગુજરાતના જંગલોમાં પ્રથમવાર પ્રયોગ કરાયો છે.

જમીનમાં ઉંડુ પાણી હોવાનો સર્વે કર્યા બાદ માર્ચથી જૂન મહિના દરમિયાન જાંબુઘોડા રેન્જમાં પાંચ અને કંજેટા રેન્જમાં ત્રણ પવનચક્કીઓ મૂકવામાં આવી છે. જ્યારેં શિવરાજપુર રેન્જમાં બે પવનચક્કીઓ ટૂંક સમયમાં મૂકાય જશે. પવનચક્કીના મારફતે જમીનમાંથી પાણી ખેંચાયને કુંડા ભરાશે અને વધારાનું પાણી વન તલાવડીઓમાં ઠલવાશે.

જાબુંઘોડા અભયારણ્યની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો મુખ્યત્વે આદિવાસી છે. જાબુંઘોડા અભયારણ્યમાં ચિત્તા સિવાય રિંછ, જરખ,શિયાળ,મગર,કોબ્રાનાગ,અજગર,દરજીડો પક્ષી,સુવર્ણ મૃગ, જળ કુકડી,અને બતકોની સંખ્યા(વસ્તી), ઘોરખોદિયું, ચૌશીંગા, નીલગાય, જંગલી ભુંડ, વિવિધ પ્રકારના ચામડચીડીયા, જેવા સસ્તન વર્ગના પ્રાણીઓ પણ સારા પ્રમાણમાં છે. જાંબુઘોડા અભયારણ્યની મુલાકાતે જવાનો યોગ્ય સમય જુલાઈથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.

- Advertisment -