HomeWild Life Newsગુજરાતના તમામ અભ્યારણો 16 ઓક્ટોબરથી ખુલશે: ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

ગુજરાતના તમામ અભ્યારણો 16 ઓક્ટોબરથી ખુલશે: ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત

કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે 15 ઓક્ટોબરથી તમામ અભ્યારણ ખોલવાની તૈયારી દર્શાવી છે. 15 ઓક્ટોબરે અભ્યારણની અંદરની વ્યવસ્થાની સમીક્ષા થશે ત્યારબાદ 16 ઓક્ટોબરથી પ્રવાસીઓને અંદર જવાની પરવાનગી રાજ્ય સરકાર આપશે. રાજ્યમાં આવેલા આ અભયારણ્યમાં પ્રવાસીઓએ ઓનલાઈન ટિકિટ લેવી ફરજિયાત છે. ત્યારબાદ જ અભ્યારણમાં પ્રવેશ મળશેે. સ્થળ ઉપર ટિકિટ નહીં આપવાની પણ તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

આ સાથે પ્રવાસીઓની સંખ્યાને પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. એક દિવસમાં માત્ર 100 જેટલા જ પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે. અથવા તો કલાકના અમુક ગણતરીના પ્રવાસીઓને જ પ્રવેશ આપવાનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. આમ, કેન્દ્ર સરકારના અનલૉક-5માં જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ અભ્યારણો 15 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે.

રાજ્યના મહત્ત્વના અભયારણોની વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લામાં આવેલા ગીર સિંહનું અભ્યારણ, બરડા સિંહ અભ્યારણ, જામનગર જિલ્લાના સામુદ્રિક અભ્યારણ, વેળાવદરનું કાળિયાર અભ્યારણ, ઘુડખર અભ્યારણ, નળ સરોવર પક્ષી અભ્યારણ, રતનમહાલ પંચમહાલ જિલ્લાનું રીંછ અભયારણ, બનાસકાંઠા જિલ્લાનું રીંછ અભ્યારણ, ભરૂચ જિલ્લાના ખાતે રીંછ અભયારણ્ય, જ્યારે રાજકોટ જિલ્લાના હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કુલ 22 જેટલા વન્ય પ્રાણી અભ્યારણ છે, જે તમામ અભ્યારણમાં પ્રવાસીઓ 16 ઓક્ટોબરથી મુલાકાત લઈ શકશે.

કોરોના મહામારીના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારે તમામ ફરવાના સ્થળો પર પ્રતિબંધ મુકી દીધો હતો. પણ હવે જેમ જેમ અનલૉક થવા લાગ્યું તેમ તેમ સરકાર દ્વારા અમુક વિસ્તાર પરથી પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યો છે. હવે વારો અભ્યારણોનો આવ્યો છે. કેન્દ્ર સરકારે અભ્યારણો પર પ્રતિબંધ હટાવતા હવે રાજ્યમાં ગીર જંગલ, સફારી પાર્ક સહિતના તમામ અભ્યારણો 16 ઓક્ટોબરથી ખુલ્લા મુકવામાં આવશે. જોકે આના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.

- Advertisment -