HomeWild Life Newsગુજરાતમાં 25 વર્ષ બાદ વાઘની વાપસી: NTCAએ રતનમહાલ અભયારણ્યમાં હાજરીને કરી પુષ્ટિ

ગુજરાતમાં 25 વર્ષ બાદ વાઘની વાપસી: NTCAએ રતનમહાલ અભયારણ્યમાં હાજરીને કરી પુષ્ટિ

NTCAના પ્રાથમિક રિપોર્ટમાં રતનમહાલમાં વાઘની હાજરીની પુષ્ટિ, વન મંત્રી અર્જુન મોઢવાડિયાનું મોટું નિવેદન

ગીરના એશિયાટિક સિંહ માટે વિશ્વભરમાં ઓળખાતા ગુજરાત રાજ્યના વન્યજીવન ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં વાઘની હાજરીને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના પ્રાથમિક રિપોર્ટમાં પુષ્ટિ મળી છે. આ સાથે જ, દેશમાં વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ થવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે.

NTCAના અભ્યાસ બાદ ગુજરાતમાં વાઘની પુષ્ટિ

ગુજરાતમાં વાઘ હોવાના પુરાવા સામે આવ્યા બાદ NTCAની ટીમે રાજ્યની મુલાકાત લઈને અભ્યાસ કર્યો હતો. NTCA દ્વારા સરકારને સોંપાયેલા પ્રાથમિક રિપોર્ટમાં રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં એક વાઘ સ્થાયી થયો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. સાથે જ, ગુજરાતમાં વાઘ માટે યોગ્ય ઇકો સિસ્ટમ વિકસાવવા સરકારને ભલામણ પણ કરવામાં આવી છે.

વનમંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન

આ મુદ્દે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “હજી સુધી NTCA તરફથી રાજ્ય સરકારને સત્તાવાર પત્ર મળ્યો નથી, પરંતુ NTCAના પ્રાથમિક રિપોર્ટમાં રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટિ થઈ છે. દેશની વાઘ વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ થવો દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે.”

કેમેરા ટ્રેપમાં કેદ થયો વાઘ

ઉલ્લેખનીય છે કે, તા. 22 ફેબ્રુઆરી 2025ના રોજ વન વિભાગના કેમેરા ટ્રેપમાં પ્રથમ વખત વાઘની તસવીર કેદ થઈ હતી. ત્યારબાદ તા. 23 ફેબ્રુઆરી 2025ના રોજ પીપલગોટા રાઉન્ડ, કંજેટા રેન્જના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મોટા કદના પગના નિશાન જોવા મળ્યા હતા. આ નિશાનો દીપડા કરતાં મોટા હોવાથી કેમેરા ટ્રેપના ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રિના અંદાજે 2:40 વાગ્યે વાઘની હાજરી સ્પષ્ટ થઈ હતી.

25 વર્ષ બાદ ગુજરાતમાં વાઘની વાપસી

એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાં વાઘોની નોંધપાત્ર વસ્તી હતી. પરંતુ સમય જતાં વાઘ રાજ્યમાંથી લુપ્ત થઈ ગયો. વર્ષ 1989માં છેલ્લી વખત વાઘની વસ્તી ગણતરી કરવામાં આવી હતી, જેમાં ફક્ત પગના નિશાન મળ્યા હતા. ત્યારબાદ વર્ષ 1992માં ગુજરાતને “ટાઈગર સ્ટેટ”નો દરજ્જો ગુમાવવો પડ્યો હતો. વર્ષ 2019માં એક વાઘ દેખાતા આશા જાગી હતી, પરંતુ તે માત્ર 15 દિવસ જ જીવિત રહ્યો હતો. હવે લગભગ 25 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં વાઘ સ્થાયી થયો હોવાની પુષ્ટિ મળતા વન્યજીવન પ્રેમીઓમાં આનંદની લાગણી છે.

બે વાઘની ચર્ચા, વન વિભાગે કરી સ્પષ્ટતા

ગત સમયમાં ગુજરાતમાં એક નહીં પરંતુ બે વાઘ સ્થાયી થયાની ચર્ચાઓ પણ જોર પકડી હતી. જોકે વન વિભાગે સ્પષ્ટતા કરી હતી કે રતનમહાલ વિસ્તારમાં હાલ માત્ર એક જ વાઘ સ્થાયી થયો છે.

વાઘ માટે ઇકો સિસ્ટમ મજબૂત કરવા પ્રયાસ

NTCAના રિપોર્ટ બાદ વન વિભાગ દ્વારા રતનમહાલ વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

  • પાણીની પૂરતી વ્યવસ્થા
  • સુરક્ષા અને આગ નિવારણ
  • શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા
  • કેમેરા ટ્રેપની સંખ્યા વધારવી

જંગલી ડુક્કર, નીલગાય અને વાનરો ઉપરાંત ચોમાસા દરમિયાન સાબર અને ચિત્તલ જેવા શિકાર પ્રાણીઓ પણ વિસ્તારમાં મુકવામાં આવ્યા છે.

માદા વાઘ લાવવાના પ્રયાસ

વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં વાઘની વસ્તીમાં વધારો કરવા માટે માદા વાઘ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. સાથે જ, રતનમહાલને ભવિષ્યમાં ટાઈગર રિઝર્વ તરીકે વિકસાવવા માટે પણ સરકાર પ્રયત્નશીલ છે. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને વાઘ સંરક્ષણ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે.

ગુજરાતના વન્યજીવન ઇતિહાસમાં ઐતિહાસિક ક્ષણ

NTCA દ્વારા ગુજરાતમાં વાઘની હાજરીની પુષ્ટિ થવી એ રાજ્યના વન્યજીવન ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ ઘટના છે. હવે આગામી સમયમાં સરકાર અને NTCA દ્વારા કયા નિર્ણયો લેવાય છે, તે પર સમગ્ર રાજ્યની નજર ટકી છે.

- Advertisment -