ગુજરાતમાં સિંહોના માથે જાણે સંકટના વાદળ ઘેરાયા હોય તેમ લાગી રહ્યું છે. દલખાણિયા રેન્જ વિસ્તારમાં વધુ બે સિંહના મોત થતા વન્ય પ્રેમીઓમાં ફરી એક વખત રોષની લાગણી સામે આવી છે. ફરી એક વખત એક સિંહણ અને એક સિંહ બાળનું મોત થયું છે. મોતનો આંક હવે 13 પર પહોંચ્યો છે. એક તરફ જંગલમાં સિંહોના એક બાદ એક મોત નિપજી રહ્યા છે. એક તરફ સિંહની સંખ્યા વધે છે તો બીજી તરફ એટલી જ ઝડપથી તેમની સંખ્યા ઘટી પણ રહી છે. જે ખરેખર એક ચિંતાનો વિષય છે. એશિયાટીક સિંહો માત્ર ભારતમાં અને એ પણ ગુજરાતના સાસણ ગીરમાં વસવાટ કરે છે. ગુજરાતની આન બાન અને શાન સમા એશિયાટીક સિંહો હવે ભયના ઓથા હેઠળ જીવન વ્યતિત કરી રહ્યા છે. જંગલનો રાજા હવે તેના જ ઘરમાં સુરક્ષીત નથી.

મળતી માહિતી મુજબ વન વિભાગનું અકળ મૌન સામે આવતા અનેક સવાલે ઉદભવી રહ્યા છે. ગીરમાં હાલ 60થી વધુ ટીમ બનાવીને આ દિશામાં જીણવટભેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો દલખાણિયા રેન્જમાં કુલ 8 જેટલી ટીમો આ દિશામાં કાર્યકરી રહી છે. સિંહોને ઈન્ફેક્શન બાબતે પણ તપાસ હવે શરૂ કરવામાં આવી છે.

એક બાદ એક સિંહના મોત થતાં અનેક સવાલો ઉભા થયા છે. અમરેલી, ધારી અને ગીરના પૂર્વ પંથકમાં આ પહેલા 11 સિંહનાં મોત થયા હતા. જેને લઇને વનવિભાગ અને સરકારની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. આ મામલે કેન્દ્ર સરકાર હરકતમાં આવી હતી. કેન્દ્રની 2 અધિકારીઓની ટીમ તાબડતોબ ગુજરાત આવી પહોંચી હતી. અને સિંહના મોતના કારણે અંગે જીણવટભરી તપાસનો સીલસીલો શરૂ કરવામાં આવ્યા હતો.

જોકે સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ તેમજ ઈન્ફેક્શન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાં 11 સિંહોના મૃત્યુ જોવા મળેલ એ વિસ્તારમાં ગઇ કાલે સ્ટાફ દ્વારા 5થી 6 માસનું સિંહબાળ બીમાર અવસ્થામાં જોવામાં આવેલ જેને ગઇ કાલે જસાધાર રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવીને સારવાર આપવામાં આવેલ પરંતુ આજે સવારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. તેના પોસ્ટમોર્ટમ અને વિસેરાનાં ટીસ્યુ વધારે ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.

અમરેલીના ધારીના દલખાણીયા રેન્જમાં વધુ બે સિંહના મોત થતાં ખળભળાટ મચી ગયો છે.4 વર્ષની સિંહણનું સારવાર મળે તે પહેલા જ મોત થયું છે. જ્યારે છ માસના સિંહબાળનું સારવાર દરમિયાન મોત થયું છે. વધુ બે સિંહના મોતને પગલે હવે સિંહોનો મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. સિંહોના મોતને પગલે તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.