મેઘધનુષ ના સાત રંગ પણ ચોમાસાની સાચી શોભા તો નવરંગ: એના રંગ વૈભવ સામે મેઘધનુષ ફિક્કું લાગે
ચોમાસા ના છડીદાર જેવું આ મનોહર પક્ષી સંવનન માટે પહોળા પાંદડા ધરાવતા વૃક્ષો – જંગલ પસંદ કરે છે.
કુદરતે પક્ષીઓ,પુષ્પો,પહાડો, નદીઓ,વાદળ જેવા એના આયામો ને જે રંગ વિવિધતા આપી છે તે બેનમૂન છે. તમામ કૃતિમ રંગ વૈભવ તેની સામે પાણી ભરે.
પ્રકૃતિ ના વરદાન સમુ આ નાનકડું પક્ષી તેના વિવિધ રંગો ને લીધે “નવરંગ” નામે ઓળખાય છે . તેનું અંગ્રેજી નામ ‘ indian pitta’ છે. તેનું કદ આશરે ૧૯ સેન્ટીમીટર હોય છે.પુખ્ત વય ના પક્ષી માં માથાના પાર્શ્વ ભાગ માં આંખની ઉપર થઈને જતી જાડી કાળી પટ્ટી,ગળું અને નેણ શ્વેત, તાલકુ ના પાર્શ્વ રેતાળ ધારીઓ તથા છાતી અને પડખાં રેતિયા રંગ ના હોય છે. સ્વર નો પ્રકાર તીક્ષ્ણ બેવડવી સિટી જેવો હોય છે.પહોળા પાંદડા વાળા વૃક્ષો ના જંગલો માં પ્રજનન કરવાનું તે પસંદ કરે છે.

ગુજરાત માં ઘણા જંગલો માં તેનું પ્રજનન સ્થાન છે, જેમકે સાપુતારા ના જંગલો, રતનમહાલ ના જંગલો,જાંબુઘોડા અભયારણ્ય, ઓરસંગ નદી ના જંગલો, પોળો ના જંગલો, હિંગોળગઢ અભયારણ્ય તેના જોવા માટે ના ઉત્તમ સ્થળો છે. ૧૨૦૦ મીટર ની ઊંચાઈ સુધી પ્રજનન કરતું જોવા મળે છે.
રંગ વૈવિધ્ય માં નવરંગ ની હરીફાઈ કરે એવા પંખી બહુ ઓછાં. લીલો, વાદળી, કાળો,ધોળો,બદામી,,સિંદુરિયો, નીલો એવા કેટલાય રંગ તેના શરીર પર જોવા મળે,તે પણ એકદમ ચમકદાર અને ઘેરા.આ બધા ને લીધે તેનું નવરંગ નામ સાર્થક થાય.તેને નજીક થી જોવું એ એક લહાવો અને આંખ માટે ઉજાણી છે.નવરંગ ભારત નું પક્ષી ખરું, પણ આપણા માટે યાયાવર મહેમાન એટલે કે બહાર થી આવનારું ગણાય.ઉનાળા ની અધવચ્ચે આપણે ત્યાં આવે, ચોમાસું અહીં ગાળે , માળા કરી ને બચ્ચાં ઉછેરે ,પછી સપ્ટેમ્બર- ઓક્ટોમ્બર માં દક્ષિણ ભારત તરફ જતું રહે. અન્ય મોટા ભાગ ના યાયાવર પક્ષીઓ ના આગમન સમયે નવરંગ વિદાય લે છે.

નવરંગ શરીરે ગોળમટોળ, પૂંછડી ટૂંકી,પણ પગ લાંબા.વૃક્ષો નીચે પડેલા પાંદડા અને ઝાંખરા આસપાસ જમીન પર ઠેક્તું ફરે અને પાંદડા ઉલથાવી નીચે રહેલા જીવડાં પકડે.ખાસ શરમાળ ના ગણાય.શાંતિ થી થોડે દૂર બેસી ને નિરીક્ષણ કરો તો ગભરાઈ ને ઉડી જતું નથી, ખલેલ પડે ત્યારે ઉડી ને ઝાડ ની ડાળ પર જઈ ને બેસે.તેને મળતું આવતું બીજું પક્ષી ગુજરાતમાં નથી , એટલે એક વખત નજરે ચઢે તો જાણકારો તરત ઓળખી લે.હરતા ફરતા ટૂંકી પૂંછડી ઊંચી નીચી કરવા ની ટેવ, સામાન્ય રીતે નવરંગ એકલ દોકલ ફરે.સ્વભાવે ભૂમિચર અને થોડા ઝઘડાખોર. પ્રજનન દરમ્યાન જોડી માં દેખાય. પ્રજનન ઋતુ મેં થી ઓગેસ્ટ.વૃક્ષો માં ગોળ દડા જેવા માળા બનાવે. ચોમાસા ના પ્રારંભ માં આ પક્ષી નું સારું અવલોકન કરી શકાય.

આ પક્ષીની મનોહર સુંદરતા થી અભિભૂત થયેલા વડોદરાના પક્ષી ઘેલા બર્ડ ફોટોગ્રાફર ડો.રાહુલ ભાગવત કહે છે કે,
ચોમાસું આવવાની તૈયારી થાય કે આપણા ગુજરાત ના જંગલો માં એક ખાસ ટહુકો સંભળાય છે , જે સાંભળતાજ દરેક પક્ષી પ્રેમી સમજી જાય છે કે,નવરંગ નું આગમન થઈ ચૂકયું છે. આવો જ શાનદાર રંગ વૈભવ માતા પ્રકૃતિએ ચોમાસાના છડીદાર જેવા નવરંગ પક્ષીને આપ્યો છે જે બહુધા મે મહિનાના અંત થી જૂનના અંત સુધી જોવા મળે છે.મેઘધનુષ કરતાં પણ ચઢિયાતો રંગ વૈભવ ધરાવતા આ પક્ષીને નવરંગ જેવા સાર્થક નામે ઓળખવામાં આવે છે.એટલે કહી શકાય કે મેઘધનુષના સાત રંગ પણ ચોમાસાની સાચી શોભા તો નવરંગ.

ગુજરાત ની વનરાજી ના આ પાંખાળા દેવદૂતો ને આવકારવા તેમજ તેમનું નિરીક્ષણ કરવું અને તેના ફોટા પાડવા એ એક અનન્ય લહાવો છે. નિર્દોષ પક્ષીઓ કુદરતે માનવજાત ને આપેલી રંગ રૂપ અને સુમધુર સ્વર વૈભવ ધરાવતી ભેટ છે.પક્ષીઓનો ચહેકાટ વાતાવરણમાં અનોખી ચેતના ભરે છે.એટલે જ કવિ મનોજ ખંડેરિયા એ પ્રભાતનું રમ્ય વર્ણન કરતાં કહ્યું છે કે,પાંખો ફૂટી રહી છે વૃક્ષોની ડાળ ડાળે,તરણું કળી રહ્યું છે જંગલ કદાચ ઉડે..!! પ્રકૃતિનો આ વારસો સાચવવાની સહુની ફરજ છે.