HomeWild Life Newsગીરના એશિયાટીક સિંહોની ડણક હવે ગાંધીનગરમાં પણ ગુંજશે

ગીરના એશિયાટીક સિંહોની ડણક હવે ગાંધીનગરમાં પણ ગુંજશે

ગાંધીનગરના પાદરે આવેલા ગીર ફાઉન્ડેશન સંચાલીત ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન તેનું આકર્ષણ ગુમાવી રહ્યું છે ત્યારે જ અગાઉની દરખાસ્તને ધ્યાનમાં લઇને હવે જુનાગઢથી એશિયાટીક સિંહોની જોડીને ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કમાં લાવવામાં આવનાર છે. મળતી માહિતી મુજબ આગામી દસ દિવસની અંદર આ એશિયાટીક સિંહની જોડીને ગુજરાતના પાટનગર ગાંધીનગર લાવવામાં આવશે. જે માટેની તૈયારીઓ લગભગ પુર્ણ થઇ ગઇ છે. અહીં પાંજરૃ પણ બનાવી દેવામાં આવ્યું છે તો કેઝ કિપરને ટ્રેનીંગ માટે જુનાગઢ પણ મોકલવામાં આવ્યા છે. એટલે આગામી દિવસોમાં હવે ગીરના એશિયાટીક સિંહોની ડણક ગાંધીનગરમાં સાંભળવા મળશે.

છેલ્લી ગણતરી પ્રમાણે સિંહની વસ્તી ગીરમાં વધી રહી છે અને પોતાના વિસ્તારની લડાઇને લઇને તેઓ ગીર અભિયારણ્યની બહાર પણ સ્થાયી થયા છે. તો બીજીબાજુ છેલ્લા એક મહિનાથી ગીરની દલખાણીયા રેન્જમાં ૨૩ સિંહો જે રીતે એક પછી એક મોતને ભેટયા તે પણ ચિંતાનો વિષય બન્યો છે.

સમગ્ર ગુજરાતનું ગૌરવ સૌરાષ્ટ્રના આ સિંહોના અસ્તિત્વ માટે હવે સરકાર વિચારી રહી છે અને લાંબાગાળે પણ સિંહને કોઇ તકલીફ ન પડે તે માટેનું સુચારૃ આયોજન કરવામાં આવી રહ્યું છે તો બીજીબાજુ પ્રાણીસંગ્રહાલયમાં સિંહની વસ્તી વધે તે માટે પણ સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ગાંધીનગરના પાદરે આવેલા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન મારફતે વારંવાર સિંહની માંગણી કરવામાં આવતી હતી. જેને ધ્યાને લઇને આખરે જુનાગઢથી સિંહ અને સિંહણની પુખ્ત જોડી ગાંધીનગરમાં લાવવાની લીલીઝંડી મળી ગઇ છે. બીજીબાજુ સિંહ પ્રેમીઓમાં પણ સિંહને જોવાની ઇન્તેજારી વધી ગઇ છે. અને સિંહના સ્વાગત માટે તૈયારીઓ આરંભાઇ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર ઇન્દ્રોડા પાર્કના ત્રણ કેઝ કિપરને જુનાગઢના ઝુમાં ટ્રેનીંગમાં મોકલવામાં આવ્યા છે જ્યાં આઠ વર્ષની સિંહણ અને દસ વર્ષના સિંહ કે જેને ગાંધીનગર લાવવામાં આવનાર છે.

આ સિંહની જોડીની મેડિકલ તપાસ પણ કરવામાં આવશે જે માટે ગાંધીનગરથી વેટરનરી ડોક્ટર પણ ત્યાં જશે અને તેની મંજુરી બાદ જ સિંહની જોડીને ગાંધીનગર લવાશે. દસ દિવસની અંદર જુનાગઢ ઝુમાંથી સિંહની જોડીને ગાંધીનગર લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રોડામાં અગાઉ વર્ષ ૨૦૦૧માં એક સિંહ હતો. હવે આગામી દિવસોમાં ફરી સિંહોની ડણક પાટનગરમાં સાંભળવા મળશે.

- Advertisment -