ગુજરાતના તાપી જિલ્લામાં આવેલ નિજહાર ગામ પાસે આશરે 30 વર્ષ બાદ પહેલીવાર ફરી એકવાર વાઘ જોવા મળ્યો હતો. વર્ષો પહેલા આ વિસ્તારમાં વાઘ જોવા મળતા હતા પરંતુ ધીમે ધીમે સમયાતંરે વાઘે ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડરનો આ વિસ્તાર છોડી દીધો હતો.

ગુજરાત દેશનું એકમાત્ર રાજય બની શકે છે જ્યાં રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને એશિયાઇ સિંહોનો બંન્નેનો વસવાટ હોય. તાજેતરમાં ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા તાપી જીલ્લાના નિઝર ગામમાં એક વ્યક્તિ પર ગત્ત 25 જુલાઈને બુધવાર ના રોજ વાઘ દ્વારા થયેલા હુમલાએ ગુજરાત રાજયમાં વાઘની મોજુદગીનો પુરાવો આપ્યો છે.

જોકે મામલે રાજયસભા સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ વન્યજીવ પ્રેમી પરિમલ નથવાણીએ અગાઉ જાન્યુઆરી 2017માં ગુજરાતના જંગલમાં વાઘની મોજુદગી અંગે ગુજરાત સરકાર અને જંગલ વિભાગના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું.

આ સંદર્ભે પરિમલ નથવાણી એ જણાવ્યુ હતું કે, “વાઘ ના મળમૂત્રના અવશેષો અને પંજાના નિશાન વગેરે સહિતના વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે વાઘની અવર-જવરનો કોરીડોર સ્થાપિત થઈ રહ્યો છે.” ગુજરાત સરકારને જાન્યુઆરી 2017 માં લખેલા પત્રમાં પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત-મહારાષ્ટ્ર સીમા પર ચેકપોસ્ટમાં નિયુક્ત મહારાષ્ટ્ર પોલીસના બે કોન્સટેબલોએ પણ વાઘને ગુજરાતનાં જંગલ વિસ્તારમાંથી મહારાષ્ટ્રનાં જંગલ વિસ્તારમાં પ્રવેશી અને પરત ગુજરાતનાં જંગલ વિસ્તારમાં જતા જોયો હતો.

વધુમાં પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે તાજેતરમાં નિઝરના ગ્રામજન પર વાઘ દ્વારા હુમલાની ઘટનાના સમાચારોએ ફરી એકવખત વાઘ ગુજરાતના જંગલમાં વસવાટ કરી રહ્યા હોવાનું પુરવાર કર્યું છે. “હવે આ યોગ્ય સમય છે જયારે રાજયના વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહોની સાથે-સાથે વાઘોના સંરક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે. વનવિભાગે આ રાષ્ટ્રીય પ્રાણીની સલામતી ઉપરાંત તેમના ખોરાક માટે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા તે વિસ્તારમાં જળવાઈ રહે તે માટે પણ યોગ્ય પગલાં લેવા જરૂરી છે,”

ગુજરાત સરકાર માટે પર્યટન ક્ષેત્રનો વિકાસ કરવાની આ ઊજળી તક છે. “વાઘની હાજરી આપણી વન્યજીવ સૃષ્ટિને વધારે સમૃધ્ધ બનાવશે. એ સર્વવિદિત છે કે, ગુજરાતમાં એશિયાઈ સિંહોની હાજરીથી પર્યટન ક્ષેત્રને ખૂબ જ ઉત્તેજન મળ્યું છે. ગુજરાતમાં વાઘના વસવાટથી રાજ્ય પર્યટન ક્ષેત્ર પણ ચોક્કસ ઘણી વધુ ઊંચાઈઓ સર કરશે,” આ સાથે નથવાણીએ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના સંબદ્ધ વિભાગને પત્ર લખીને ગુજરાતમાં વાઘના સંરક્ષણ માટે જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવે તેવી અપીલ કરી છે.