વાઘણ અવનિના ‘શિકાર’ ના વિરોધમાં વડોદરાની સંસ્થાઓ થઈ એક, પ્રાણી પ્રેમીઓએ તપાસની કરી માંગ,
મહારાષ્ટ્રના યવતમાલ જીલ્લામાં વાઘણ અવનીને શુટ આઉટ કરવાના મામલે હવે પ્રાણી પ્રેમીઓનો વિરોધ વધી રહ્યો છે. વડોદરા સહિત વિશ્વના અનેક દેશોમાં “નેશનલ શેમ” નામથી અવનીની હત્યાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં વિશ્ર્વના 22 દેશોમાં અને ભારતના 31 શહેરોમાં એક સાથે અને એક સમયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરના ડેરી ડેન સર્કલ પાસે પ્રાણી પ્રેમીઓએ વાઘણ અવનીને શુટ કરવાનો વિરોધ કર્યો હતો. વિરોધમાં એક નિર્જીવ વાઘણને સાથે રાખી તેમજ પ્લેકાર્ડ અને પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. શહેરની વિવિધ સંસ્થાઓ જેમ કે કેનાઇન ગ્રૂપ, નેચર વોક ગ્રૂપ, વાઇલ્ડ લાઈફ રેસક્યુ ટ્રસ્ટ અને હ્યુમન્સ વિથ હયુમનિટી એકઠી થઈ ને અવનિ વાઘણ ને જે રીતે ક્રૂરતા થી મારી નાખવામાં આવી હતી તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. પ્રાણી પ્રેમીઓના વિવિધ ગ્રૃપોએ વાઘણ અવનીને શુટ કરવાના મામલે તપાસની માંગ કરવાની સાથે સખ્ત કાયદો ઘડવાની માંગ ઉચ્ચારી હતી.

તેમજ સરકાર પાસે વાઘોની રક્ષા કરવા તમામ પ્રયાસો કરવા જોઈએ તેવી રજુઆત કરી છે. પ્રાણી પ્રેમી જુથ અવની વાઘણને શુટ કરવાના બદલે તેને બેભાન કરી બીજી જગ્યા પર ખસેડી શકત તેવી દલીલ પણ કરી રહ્યા છે. અવનિ વાઘણે માણસો ઉપર હુમલા કર્યા તેની પાછળ આડેધડ જંગલોને માણસો દ્વારા થતું નુકશાન છે તેમ પણ વિરોધ પ્રદર્શિત કરનારા સભ્યોએ જણાવ્યુ હતું. આ એક વાઘણ ને મારવાની વાત નથી પરંતુ સરકાર દ્વારા જંગલની જમીન ઉપર થઈ રહેલ અતિક્રમણ ની વાત છે.

જોકે આ સમગ્ર મામલે પ્રાણી પ્રેમી અને કેનાઇન ગ્રુપના વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે દેશમાં હવે વધોની ખુબ જ ઓછી સંખ્યા બચી છે. વાધને બચાવવા માટે સરકારે પ્રયાસો કરવા જોઈએ મહારાષ્ટ્રમાં જે વાઘણ અવનીને મારવામાં આવી છે તે શરમજનક બાબત છે. અવની ની હત્યાએ વન્ય જીવ અને તેના માટે કામ કરતાં તમામ લોકો માટે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. જ્યારે આપણી પાસે વન્ય જીવો ના સંરક્ષણ માટે ખ્યાતનામ તજગ્નો હોય ત્યારે જો રાજનૈતિક લોકોની સલાહ લેવામાં આવે અને તેની ઉપર અમલ પણ કરવામાં આવે તો એનાથી દયનીય પરિસ્થિતી બીજી શું હોય શકે.

પ્રદર્શન દરમ્યાન હાજર રહેલ એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી ના ડો રણજીતસિંહ દેવકરે અવનિના શિકાર માટે પોતાનું મંતવ્ય આપતા જણાવ્યુ હતું કે આ આખા વિષયમાં લાગણીમાં આવી જવાથી કોઈ પરિણામ નહીં મળે. પરંતુ દેશના પર્યાવરણ ખાતાએ આવા અને આનાથી પણ વધુ પેચીદા મામલાઓને પહોંચી વળવા એક્શન પ્લાન બનાવવો જોઈએ. આ એક દુખની વાત છે કે આપના દેશમાં હજી સુધી વન્ય જીવો માટે કન્ઝર્વેશન પ્લાન નથી.આજે અવનિ સાથે જે થયું તે વન્ય જીવ સંરક્ષણ માટે એક કટોકટી ની પરિસ્થિતી જાહેર કરવા જેટલી ગંભીર બાબત છે. ડો દેવકરે એમ પણ જણાવ્યુ હતું કે દેશના ઉદ્યોગપતિઓએ એક મહત્વનો ભાગ ભજવવો પડશે અને વન્ય ક્ષેત્રોમાં વસતા લોકો માટે આજીવિકા માટે પોતાનું યોગદાન આપવું પડશે.
પર્યાવરણ વિદ્દ ડો જીતેન્દ્ર ગવળી એ અવનિ ના અપમૃત્યુ અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યુ હતું કે જો વન્યજીવો પાસે થી તેમના વિસ્તારો અને તેમના જીવન જીવવાના કુદરતી સ્ત્રોતોને મનુષ્ય પોતાના સ્વાર્થ માટે બરબાદ કરતો રહશે તો બહુ નજીક ના ભવિષ્યમાં પોતે પણ કુદરતી આફતોનો શિકાર બનશે.

પર્યાવરણના શિક્ષક હિતાર્થ પંડયાએ જણાવ્યુ હતું કે અવનિ ના શિકાર માટે સરકારે જંગલ ખાતા કરતાં બહારના વ્યક્તિને બોલાવવી પડી એ એક દુખની વાત છે. આ વાત થી એટલું તો સાબિત થાય જ છે કે વન વિભાગ પાસે ટ્રાક્વિલાઇઝર ગન ચલાવી શકે એવા અધિકારીઓએ કે કર્મચારીઓ નથી. બીજી બાજુ એ વાત કોઈ અવગણી નહીં શકે કે જેટલી લાગણી એક ફોરેસ્ટ ખાતાના સ્ટાફ ને વન્યજીવ માટે હોય શકે તેટલી એક શિકારી ને ના હોય શકે. સરકારે જંગલ ખાતાને પૂરતું ભંડોળ અને કૌશલ્ય પ્રદાન કરવું પડશે.
મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં 14 જેટલા લોકોનો જીવ લેનાર વાઘણ અવનીને વનવિભાગ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ 5 વર્ષીયના મોત બાદ આસપાસના વિસ્તારોમાં જશ્નનો માહોલ બની ગયો હતો. લોકો ફટાકટા ફોડી, મિઠાઇ ખવરાવીને ખુશીઓ મનાવી હતી. ત્યારે બીજી બાજુ વડોદરા સહિતના અનેક શહેરોમાં આ વાઘણને શુટ આઉટ કરવાના મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
