ભાવનગરના વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં એકસાથે 3000 જેટલા કાળિયાર કેમેરામાં કેદ થયા છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા કાળિયારનું ટોળું જાેવા મળી રહ્યું છે.
કાળિયારના આ વીડિયો અંગે વેળાવદરના સરપંચ મુકેશભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે મારા નાનાભાઈ મુન્નાભાઈ બારૈયાએ આ વીડિયો ઉતાર્યો હતો અને વેળાવદરથી બે કિલોમીટર દૂર અભયારણ્યની વચ્ચેનો આ વિસ્તાર છે. સામાન્ય પ્રજા માટે હાલમાં તો અભયારણ્ય બંધ છે, પરંતુ આ પ્રકારના હરણની મૂવમેન્ટનો નજારો સામાન્ય રીતે સ્થાનિકોને જાેવા મળતો હોય છે. હાલમાં વરસાદ પડેલો હોઈ હરણો એકજૂથમાં વધારે ફરતાં હોય છે.
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના અંકુરભાઈ પટેલે જણાવ્યું હતું કે નેશનલ પાર્ક 3400 હેકટર અને બહારની સાઈડ 2000 હેકટરમાં કાળિયારો વસવાટ કરે છે. ઉદ્યાનમાં 2500થી 3000 જેટલા કળિયારો વસવાટ કરે છે અને રોજ અંદર અને બહાર આવતા-જતા રહે છે. કાળિયારો હંમેશાં ટોળામાં જ રહેતા હોય છે, છેલ્લાં ૫ વર્ષમાં કળિયારોની સંખ્યામાં વધારો થયો છે, અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવાથી મુક્ત રીતે ફરી શકે છે. પ્રવાસીઓ ૧૬ ઓક્ટોબરથી ૧૫ જૂન સુધી નેશનલ પાર્કની મુલાકાત લેતા હોય છે.
