કોઈ તમને પૂછે કે યલો પેંસી,બ્લેક રાજા,ગ્રાસ યલો,કોમન લાઈમ,કોમન રોઝ,કોમન પાઇરોટ,કોમન ક્રો, ફરગેટ મી નોટ, ઇવનિંગ બ્રાઉન, દનાઇડ એગ ફ્લાય, ક્યુપીડ આ બધાં કોણ છે અને એમનું સરનામું કયું? તો તમે ચોક્કસ મુંઝાઈ જશો.

આ સવાલનો જવાબ તમને સામાજિક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિધિ દવે આપી શકે.તેઓ જણાવે છે કે નયનરમ્ય અને અતિ નાજુક પતંગિયાઓ ના આ નામ છે અને તેમનું સરનામું કે/ઓ સયાજી બાગ ની પાછળ અને બાળ ભવનની સામે આવેલી નર્સરી એટલે કે રોપ ઉછેર કેન્દ્ર છે. જ્યાં આ વર્ષે વિવિધ પ્રજાતિઓના બે લાખથી વધુ રોપા ઉછેરીને વનસ્પતિ ઉછેરના ચાહક વડોદરાવાસીઓ ને વાવેતર અને ઉછેર માટે પૂરા પાડવામાં આવ્યા છે.
માત્ર ઉપર જણાવેલા પતંગિયા જ નહિ પરંતુ ભાત ભાતના પક્ષીઓ જેમ કે મેલ અને ફિમેલ કોયલ,હોર્નબિલ જેનું ગુજરાતી નામ ચિલોતરો છે,સમડી,માથે લાલ ફૂમતું ધરાવતી બુલબુલ,પોપટ, લક્કડખોદ,બી ઇટર,ગોલ્ડન ઓરીઓલ,મેના બેબ્લર અને કાળાશ પડતા રેશમી ભૂરા રંગ ના વસ્ત્રો પહેર્યા હોય એવી નાનકડી પણ રૂપાળી દેવચકલી – સન બર્ડ પણ ઉપર ના જ સરનામે રહે છે.

કહી શકાય કે અહીં પાંખાળા પક્ષી અને પતંગિયા નો રૂપેરી મેળો ભરાય છે.કરુણતા જુવો કે કોરોના એ તરણેતર કે રાજકોટ નો સાતમ આઠમ નો મેળો સહિત જાણીતા મેળા બંધ કરાવી દીધાં.પરંતુ આ પક્ષી પતંગિયાના મેળાને કુદરતે કોઈ પાબંદી ફરમાવી નથી કે કોરોના નું ગ્રહણ લાગ્યું નથી.તેનું કારણ ખબર છે? આ લોકો હજુ પણ કુદરત સાથે તાલ મિલાવી ને જીવે છે.તેઓ માનવ જેટલા બુદ્ધિશાળી નથી ને! માનવ એની બુદ્ધિ થી કૃત્રિમ અને કુદરત સાથે મેળ વગર નું જીવન જીવે છે એટલે પાબંદીઓમાં સપડાય છે. જેણે જેવું કર્યું તે તેવું પામ્યા.

પક્ષીઓ અને પતંગિયાઓ ને આ જગ્યા જ કેમ ગમી ગઈ? તેનો જવાબ આપતાં નિધિ દવે જણાવે છે કે અમે આ સ્થળે સ્થળની શોભા વધારવા જાસૂદ,અપરાજિતા, એકઝોરા,બિલી, સરગવો,મીઠો લીમડો,કોઠી, ગળતોરા,નગોડ અને લીંબુ જેવા ફલ ફૂલ ના છોડ/ વૃક્ષો ઉછેર્યા છે જે તેમને કુદરતી નિવાસની સુખભરી સુવિધા આપે છે.તેના લીધે આ જગ્યા તેમને ગમી ગઈ છે. અહીં વેલા,છોડ અને ઘેઘૂર વૃક્ષો જેવી બધી જ અનુકૂળતા છે એટલે પક્ષી અને પતંગિયા સૃષ્ટિ ની વિવિધતા જોવા મળે છે.સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી કાર્તિક મહારાજા અને મદદનીશ વન સંરક્ષક રાજગુરુ ના માર્ગદર્શન હેઠળ આ પક્ષી પતંગિયા ઉદ્યાન ની દેખરેખ રાખવામાં આવે છે.

કેવડિયા માં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના આકર્ષણ રૂપે આયોજનબદ્ધ રીતે બટર ફ્લાઈ ગાર્ડન વિકસાવવામાં આવ્યો છે. અહીં કુદરતી કરિશ્મા ના રૂપમાં તે વિકસ્યો છે. અને પક્ષી કે પતંગિયા નું નિરીક્ષણ એ ધીરજ માંગી લેતું કામ છે.ત્યાં પહોંચો એટલે આ લોકો તમને દરવાજે આવકારવા આવે એવું નથી.ધીરજ સાથે મીટ માંડી ને રાહ જુવો તો જોવા મળે.કારણ કે અહીંના વી.આઇ.પી.આ કુદરતી જીવો છે. આવા સ્થળો શીખવે છે કે કુદરત ની મરજી પ્રમાણે જીવન ની અનુકૂળતા સાધો તો જીવન પક્ષી પતંગિયા ની વાડી જેવું બને.વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો આના થી સચોટ કયો બોધપાઠ હોઈ શકે?