HomeWildlife Specialસાસણ ગીર: એશિયાટીક સિંહોની અને ગેરકાયદે લાયન શો માટે લેવાશે ડ્રોનની મદદ

સાસણ ગીર: એશિયાટીક સિંહોની અને ગેરકાયદે લાયન શો માટે લેવાશે ડ્રોનની મદદ

32 રેપિડ રિસ્પોન્સ ટીમ અને 108 એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.

ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં સિંહો તથા અન્ય વન્ય જીવોના સંરક્ષણ સંવર્ધન અને રોગચાળામાં સઘન સારવાર માટે ગીરમાં અદ્યતન સ્ટેટ ઓફ ધી આર્ટ હોસ્પિટલ નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની વૈશ્વિક ઓળખ એશિયાટીક લાયન માટે ગીર વિસ્તારના 8 રેસ્કયૂ સેન્ટરને પણ અદ્યતન બનાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી માટે રૂ. 85 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત ૩ર રેપિડ રિસ્પોન્સ ટીમ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ જેવી નવી લાયન એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની ૧૪મી બેઠક મળી હતી. આ બેઠકમાં વન પ્રધાન ગણપતસિંહ વસાવા, રાજ્યપ્રધાન રમણભાઇ પાટકર તેમજ બોર્ડના સભ્ય ધારાસભ્યો, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ માનદ સદસ્યો હાજર રહ્યા હતા. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા.

WSON Team

મુખ્યપ્રધાને જણાવ્યું કે, ગીરના જંગલોમાં ડ્રોન સર્વેલન્સ તેમજ સી.સી.ટી.વી. નેટવર્ક દ્વારા સિંહ સહિતના વન્યપશુઓની રાત્રી મૂવમેન્ટ-ગતિવિધિઓ પર સતત નજર રાખવા માટે પણ રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે ગીરમાં પણ કોરબેટ નેશનલ પાર્કની પેટ્રન પર E-Eye પ્રોજેકટ તહેત રાત્રીના સમયે પણ રાની પ્રાણી-પશુઓની ગતિવિધિ પર નજર રાખવા હેતુ સેન્સીટીવ કેમેરા ગોઠવવા વન વિભાગને સૂચનાઓ આપી હતી.

વિજયભાઇ રૂપાણીએ સિંહોના લાંબાગાળાના સંરક્ષણ આયોજન માટે રૂ. ૩૫૧ કરોડની યોજનામાં નવિન ટેકનોલોજી સાથેના પાંજરા, ડ્રોન, સી.સી.ટી.વી સર્વેલન્સ, આરોગ્ય વિષયક આંતરમાળખાકીય સુવિધાઓ અને અન્ય સાધન-સામગ્રી વગેરે માટે તાત્કાલિક પગલાં લેવા આદેશો આપ્યા હતા. તેમણે તાજેતરમાં વન્યપ્રાણીઓમાં દેખાયેલા રોગચાળા સંદર્ભમાં તકેદારીના પગલાં અને તત્કાલ સારવાર માટે આગામી સમયમાં સમયાંતરે એનિમલ હેલ્થ સર્વેલન્સ તેમજ લાયન એમ્બ્યુલન્સ અને ર૪ કલાક હેલ્પલાઇન માટેનું સૂચન પણ કર્યુ હતું.

WSON team

મુખ્યપ્રધાન અને બોર્ડના સભ્યોએ સિંહોના CDV મૃત્યુના તાજેતરના બનાવોમાં વન વિભાગે યુધ્ધના ધોરણે રસીકરણ સહિતના જે પગલાંઓ લીધા તેની સરાહના કરી હતી. સીએમ રૂપાણીએ વન્યપ્રાણી સૃષ્ટિ સાથોસાથ દરિયાઇ જીવ મરિન સૃષ્ટિના સંવર્ધન અને રક્ષણ માટે પણ વાઇલ્ડ લાઇફ બોર્ડનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું.

વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ઘોરાડ અને ખડમોર સહિતની અન્ય લુપ્ત થતી જતી પ્રજાતિના પક્ષીઓ, વન્યપશુઓના સંવર્ધન માટે વિશેષ ધ્યાન આપવાની સૂચનાઓ આપી હતી. તેમણે ગીરના જંગલોમાં ગેરકાયદે લાયન શોની બદીને કડક હાથે ડામી દેવા વન વિભાગ અને જિલ્લા પોલીસને સંયુકતપણે સર્તક રહેવા તથા આવું કૃત્ય કરનારાઓ સામે પાસા સુધીના કડક પગલાં લેવા પણ તાકીદ કરી હતી.

મુખ્યપ્રધઆને વન્યપ્રાણી-પશુઓની સારવાર-સુશ્રુષા માટે વેટરનરી કેડર વધુ સક્ષમતાથી સજ્જ કરવા મેન પાવર ઉપલબ્ધ બનાવવાની અને સિંહની મૂવમેન્ટથી જાણકાર સ્થાનિક યુવા ટ્રેકર અને વન્યપ્રાણી મિત્રોના મહેનતાણામાં વધારો કરવા માટે યોગ્ય આયોજનનું પણ સૂચન કર્યુ હતું.

WSON Team

આ બેઠકમાં અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઊદ્યાન વિસ્તારની જમીનના બિનજંગલ ઉપયોગ માટે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ મંજૂરી મેળવવાની ર૯ દરખાસ્તોમાં હયાત માર્ગ વિસ્તરણ અને મજબૂતીકરણ, ઇલેકટ્રીક લાઇન નાખવાની, ઓપ્ટીકલ ફાઇબર કેબલ નાખવા સહિતની બાબતો પણ ચર્ચા-વિચારણા માટે રજૂ કરવામાં આવી હતી.

જીવદયા માટેના ગુજરાતના અભિનવ પ્રયોગ કરૂણા અભિયાન તેમજ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સફળતા અને તેની અન્ય રાજ્યો માટેની મોડેલ રૂપ કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

- Advertisment -