સાસણ ગીરની સફારી ઉપરાંત એશિયાટીક સિંહ દર્શન માટે દેવળીયા પાર્ક નામની એક નવી સફારી પણ શરૂ કરવામાં આવેલી છે. અહીં પણ એશિયાટીક સિંહ-સિંહણની જોડીઓ સહિતના અન્ય પ્રાણીઓનો વસવાટ છે. ગુરુવારે સિંહનું લોકેશન શોધવા માટે ગયેલા રજનીશ કેશવાલા નામના વનકર્મી ઉપર દેવળીયા પાર્કની સિંહની પ્રખ્યાત જોડી ગૌરવ અને ગૌતમ દ્વારા અચાનક જ હુમલો કરી દેવાયો હતો.
હુમલાની આ ઘટના બાદ દેવળીયા પાર્કને સિંહદર્શન માટે તાત્કાલિક બંધ કરી દેવાયો છે. ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડને જણાવ્યું કે, વન કર્મચારી ઉપર હુમલો કરનારા સિંહ ગૌરવ અને ગૌતમને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવીને કવાયત હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ગૌરવ અને ગૌતમ નામના આ સિંહને ઝડપી લેવામાં વન વિભાગને સફળતા મળી છે.
સાસણગીરના દેવડીયા પાર્કમાં બે સિંહોએ વનકર્મીઓ પર હુમલો કર્યો હતો. જેમાં એક વનકર્મીનું મોત અને અન્ય 2 વનકર્મીઓને ઇજા પહોંચી હતી. ત્યારે હવે સિંહના હુમલા બાદ વનવિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વનકર્મીઓ પર હુમલો કરનાર બે સિંહોને કેદમાં રખાશે. ગૌતમ અને ગૌરવ નામના બે સિંહોને દેવળીયા પાર્કમાં ખુલ્લા નહીં મુકાય. જ્યારે હવે આ સિંહોને કડક દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
મહત્વનું છે કે, સામાન્ય રીતે સિંહ કોઈ માણસ પર હુમલો કરતો નથી. અસામાન્ય સંજોગોમાં જ સિંહ હુમલો કરે છે ત્યારે આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સિંહ માણસ પર હુમલો ક્યારે કરે છે?
જોકે સાસણ ગીર જંગલ વિસ્તારમાં પ્રથમ એવી ઘટના ઘટી છે કે જેમાં સિંહે કોઈ માણસ પર હુમલો કરીને ફાડીખાઈ મોત નિપજાવ્યું હોય. સામાન્ય રીતે સિંહો રોયલ એનિમલ કહેવાય છે. સિંહ માણસ પર હુમલો કરતો નથી ગુજરાતના ગીર વિસ્તારમાં ભાગ્યેજ સિંહના હુમલાની ઘટના બની છે. ફોટો લેનારા એક પ્રવાસી પર વર્ષ 2012માં સિંહે હુમલો કરીને જીવ લીધો હતો. સિંહને કોઈએ છંછેડ્યો હોય તો જ તે માણસ પર હુમલો કરે છે. અથવા તો તેના વિસ્તારમાં તેના પ્રજનન સમયે દખલગીરી કરવામાં આવે તે સમયે સિંહ વધુ આક્રમક હોય છે. અથવા તો સિંહ ભૂખ્યા હોય અને ગુસ્સામાં હોય તેવા સંજોગોમાં હુમલો કરી શકે છે. સારવાર માટે આપેલી દવાઓના કારણે પણ સિંહ ગુસ્સામાં હુમલો કરી શકે છે. સિંહે મારણ કર્યું હોય ત્યારે તેની નજીક જનારા પર સિંહ હુમલો કરે તેવી શક્યતાઓને નકારી શકાય નહિ.
