વિશ્વ પર્યાવરણ દિવસ: ગુજરાતની આ શાળામાં નિત્ય ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ

ઇફેક્ટીવ માઇક્રોબનો ઉપયોગ, વરસાદી પાણીનો સંગ્રહ, સોલારનો ઉપયોગ, વૃક્ષોનું વાવેતર અને સ્વચ્છતા અભિયાન દ્વારા એક જ શાળામાં પર્યાવરણ રક્ષણ ના મલ્ટી મોડેલ નો અમલ

પર્યાવરણ નું રક્ષણ એ હવે ગંભીર જાગતિક ચિંતાનો વિષય છે.એટલે જ દર વર્ષે 5 મી જૂને જગત આખું વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી ને કુદરત ને કુદરતી અવસ્થામાં સાચવવાના શપથ લે છે. જો કે તે પૂરતું નથી.પર્યાવરણ સુરક્ષા નું જો એક સંસ્કાર તરીકે બાળ પેઢીમાં સિંચન કરવામાં આવે તો જ તેમનામાં પ્રકૃતિ પ્રત્યે લગાવ કેળવાય અને એક જવાબદાર પેઢીનું ઘડતર થાય જેની આદત જ પર્યાવરણનું જતન હોય. આવું જ કંઇક વડોદરાની ડોન બોસ્કો શાળામાં થઈ રહ્યું છે.આ શાળાએ પર્યાવરણ રક્ષણમાં ઉપયોગી વરસાદી પાણીના સંચય,સૂર્ય ઊર્જાનું દોહન,જૈવિક કચરા નો વિનિયોગ જેવા બહુવિધ આયામો નો શિક્ષણ સાથે સમન્વય કરીને એક સંસ્કારના રૂપમાં તેની આદત કેળવવાનું આયોજન કર્યું છે.વિશ્વ વર્ષમાં એક વાર પર્યાવરણ દિવસ ઉજવે છે આ શાળામાં જાણે કે રોજ પ્રકૃતિ પૂજન દિવસ ઉજવાય છે. હાલના સમયમાં આપણે ટેકનોલોજીના એટલા ગુલામ થઈ ગયાં છે કે મનુષ્ય જીવનના અસ્તિત્વને રક્ષણ આપતી પ્રકૃતિને વીસરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે પર્યાવરણનો ફક્ત એક જ દિવસ નહિ પણ આખું જીવન આભાર વ્યક્ત કરે છે.વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ડોન બોસ્કો શાળામાં અભ્યાસ સાથે પ્રકૃતિની જાણવણીના પાઠ પણ ભાળવવામાં આવે છે. શાળાના સંચાલકો દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને તેમની પ્રવૃત્તિઓ બાળકોને પ્રકૃતિ સાથે જોડવાનું કામ કરે છે. શાળાના સંચાલક ફાધર ટોનીએ જણાવ્યું કે, ‘આપણે પ્રકૃતિમાંથી જેટલું લઈએ તેટલું જ પ્રકૃતિને પરત કરવું અનિવાર્ય છે.’ પ્રકૃતિ સંવર્ધનને લક્ષમાં રાખીને ઇફેક્ટીવ માઇક્રોબનો ઉપયોગ કરવામાં આવે છે. આ અસરકારક સૂક્ષ્મજંતુઓએ કુદરતી રીતે બનતા સજીવોની મિશ્ર સંસ્કૃતિઓ છે જે માટી ઇકોસિસ્ટમની માઇક્રોબાયલ વિવિધતાને વધારવા માટે લાગુ કરી શકાય છે. પાણી, ગોળ અને ઇફેક્ટીવ માઇક્રોબના મિશ્રણનો ઉપયોગ વૃક્ષો અને છોડની માવજત કરવા માટે થાય છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી તેને ચેમ્બરમાંથી ગાળીને તેને ભૂગર્ભ જળમાં પુનર્સ્થાપિત કરવામાં આવે છે. આ યોજના ફક્ત ડોન બોસ્કો શાળાના હિતમાં જ નહિ પરંતુ શાળાની આસપાસ આવેલી વસાહતો માટે પણ હિતાવહ છે. આ યોજના દ્વારા આજુબાજુની વસાહતોના બોર જાતે રિચાર્જ થઈ જાય છે. ડોન બોસ્કોના સંચાલકો પ્રકૃતિ પ્રેમી હોવાથી વીજળીનો વ્યય ઘટાડવા સોલાર પેનલનો ઉપયોગ કરે છે. ૪૨.૫ કિલો વોટ સોલાર પેનલમાંથી લગભગ ૨૦૦ થી ૨૫૦ કિલો વોટ ઊર્જા પ્રાપ્ત થાય છે. આ સોલાર પેનલ દ્વારા આખી સ્કૂલમાં ઊર્જા પ્રાપ્ત થાય છે. તદુપરાંત, શાળામાં જ નિવાસ કરતા સંચાલકો માટે નાનો બાયોગેસ પ્લાન્ટ પણ વિકસાવવામાં આવ્યો છે. આખું શાળા પરિસર હરિયાળું છે.આસોપાલવ,લીમડો સહિત ના વૃક્ષો અને વનસ્પતિ કુદરતી ઉષ્ણતામાન જાળવવામાં મદદ કરે છે.પ્રકૃતિના જતન માટે આખી શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ કાર્યરત છે.કારણકે જે બદલાવ સમૂહ દ્વારા લાવવામાં આવે છે તેની અસરકારકતા વધુ હોય છે.ડોન બોસ્કો સંદેશ આપે છે કે શાળા એ સરસ્વતી નું મંદિર છે એને પ્રકૃતિ શિક્ષણ ની વિદ્યાપીઠ પણ બનાવો.

EXCLUSIVE: તાઉ-તે વાવાઝોડાએ જંગલમાં વિનાશ સર્જ્યો છતાં કોને થશે ફાયદો?

30 લાખ વૃક્ષો પડી જતા જંગલની ગીચતા ઘટશે, એશિયાટીક સિંહો ને શિકાર કરવો બનશે આસાન

ક્યારેય કોઈ વિચારી શકે કે ભયંકર વાવાઝોડું કોઈ માટે આશીર્વાદ હોય શકે? જી હા એશિયાટિક લાયન માટે તાઉ તે વાવાઝોડું આશીર્વાદરૂપ બનશે. વન્યજીવો ના જીવનને નજીકથી ઓળખતા અને સમજતા નિષ્ણાંતો માને છે કે,  એશિયાટિક સિંહ ગાઢ જંગલ કરતા ખુલ્લા ઘાસના મેદાનો માં રહેવાની અનુકૂળતા ધરાવે છે. હાલમાં જ આવેલ વાવાઝોડાં થી ગીર જંગલમાં આશરે 30 લાખ વૃક્ષો પડી ગયા છે. આ પર્યાવરણ માટે એક મોટું નુકસાન છે છતાં પ્રકૃતિ તેનું કામ કરે છે એ નિયમ મુજબ જોઈએ તો વન્યજીવો માટે વાવાઝોડું કોઈ સમસ્યાનો હલ લઈ આવે છે.
Forest Depeartment, Sasan Gir
ગત 17 મે 2021 એ આવેલ વિનાશક તાઉ તે વાવાઝોડાં એ ગુજરાત ની દરિયાઈ પટ્ટી પર વિનાશ સર્જ્યો છે પરંતુ એશિયાટિક સિંહો માટે આ વાવાઝોડું આશીર્વાદરૂપ બની શકે છે. વન્યજીવ વર્તુળ વિભાગના વનસંરક્ષક અધિકારી ડૉ દૂષયંત વસાવડા કહે છે કે ગીર જંગલમાં અંદાજે 30 લાખ થી પણ વધુ વૃક્ષો પડી ગયા છે. જેથી ખુલ્લા મેદાનો માં ઘાસ ઊગી નીકળશે જેથી સિંહ માટે શિકાર પાછળ દોડવું અને શિકાર શોધવો આસાન બનશે તેમજ સિંહોની સંખ્યામાં પણ વધારો થશે.
Forest Department, Sasan Gir
આ પહેલા પણ વર્ષ 1982 માં આવેલ ભયંકર વાવાઝોડાં માં 28 લાખ થી પણ વધુ વૃક્ષ પડી ગયા હતા. જેમાંથી મોટાભાગના વૃક્ષો હટાવાયા નહતા જે ડાળીઓ ફરી ઊગી નીકળતા ગાઢ જંગલ બની ગયું હતું જે એશિયાટિક સિંહો માટે અનુકૂળ ન હતું આથી જ જંગલને ટ્રિમ કરવાનો એક પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ એ મંજુર થાય એ પહેલાં જ કુદરતે રસ્તો કરી દીધો અને તાઉ તે વાવાઝોડું આવી ગયું જેમાં 30 લાખ થી વધુ વૃક્ષો પડી ગયા છે. એક રિસર્ચ મુજબ 1982 પછી ઘાસ થી બનેલા ખુલ્લા મેદાનો સિંહોની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે. ફરી એ જ સ્થિતિ આવશે. પરંતુ એ માટે જંગલમાં તૂટી પડેલા 30 લાખ વૃક્ષો હટાવવા વન વિભાગ માટે એક ચેલેન્જ બની રહેશે.

જાણો, શા માટે ચામાચીડિયા માનવજીવન માટે જરૂરી છે?

વિશ્વમાં ચામાચીડિયાની અંદાજે 1400 પ્રજાતિઓ, જાે ચામાચીડિયા ખતમ થઈ જશે, તો દુનિયા ઉપર મોટું જાેખમ આવી શકે છે, એવી નિષ્ણાતો દ્વારા ચેતવણી

વાયરસની સમગ્ર વિશ્વ ખૂબ જ ગંભીર અસર જાેવા મળી રહી છે. કોરોના વાયરસની ઉત્પત્તિની કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી. કેટલાક વૈજ્ઞાનિકો કોરોના વાયરસ વુહાન વાયરોલોજી લેબમાં બન્યો હોવાનું કહી રહ્યા છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ખતરનાક વાયરસ ચામાચીડિયાને કારણે ફેલાયો છે. આ વાતને કારણે દોઢ વર્ષથી લોકોમાં ચામાચીડિયાને લઈને ભય જાેવા મળી રહ્યો છે. આ ખતરનાક વાયરસ ફેલાયો હોવા છતા ચામાચીડિયા આપણા માટે ખૂબ જ જરૂરી છે. છેલ્લા એક દાયકામાં ચામાચીડિયા જીવલેણ બીમારી ઉત્પન્ન કરતા હોવાનું લોકો માની રહ્યા છે. જેમ કે, ઈબોલા, સાર્સ અને કોરોના મહામારી. અનેક ધર્મો અનુસાર ચામાચીડિયું આસપાસ હોય તો અનિષ્ટ વધી જતુ હોવાનું માનવામાં આવે છે અને લોકો ચામાચીડિયાને જાેઈને ડરી જાય છે. આવા અનેક કારણોસર ચામાચીડિયું લોકોને પસંદ નથી આવી રહ્યું. જાેકે, ચામાચીડિયા જૈવ વિવિધતામાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. પ્રકૃતિને સંતુલિત કરવા માટે ચામાચીડિયા કેવી રીતે ઉપયોગી છે.
WSON Team
નિષ્ણાંતો કહી રહ્યા છે કે જાે ચામાચીડિયા ખતમ થઈ જશે, તો દુનિયા પર મોટુ જાેખમ આવી શકે છે. ચામાચીડિયાની અંદાજે 1400 પ્રજાતિઓ છે, જે અનેક પ્રકારના જીવજંતુઓને ખાઈને પ્રકૃતિને સંતુલિત રાખે છે. યુએસ ફિશ એન્ડ વાઈલ્ડલાઈફ સર્વિસે આ અંગે જાણકારી આપે છે. ચામાચીડિયા ખેતરોને નુકસાન કરતા જીવજંતુઓને ખાઈને દર વર્ષે 1 અરબથી વધુ કિંમતના અનાજનો બગાડ થતા અટકાવે છે. ચામાચીડિયા દર કલાકે 1000થી જીવજંતુઓને ખાઈ જાય છે. ચામાચીડિયાની કેટલીક પ્રજાતિઓ જીવજંતુ નહીં, પરંતુ ફૂલ-છોડનું સેવન કરે છે. આ પ્રકારે એક છોડના બીજ બીજી જગ્યા પર લઈ જઈને ક્રોસ-પોલિનેશનમાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. આ કારણોસર પાકનું ઉત્પાદન સારુ થાય છે. ફૂલ-છોડનું સેવન કરતા ચામાચીડિયા ક્રોસ-પોલિનેશનમાં 95% સુધીનું યોગદાન આપે છે. કેળાના ઉત્પાદનમાં પણ ચામાચીડિયા મહત્વની ભૂમિકા ભજવે છે. એશિયાઈ ઉષ્ણ-કટિબંધીય જંગલોને ફરીથી ઊભુ કરવામાં ચામાચીડિયા મહત્વનું કામ કરી રહ્યા છે. ફૂલ-છોડનું સેવન કરીને તેના બીજનો ફેલાવો કરે છે. આ રીતે નષ્ટ પામી રહેલ જંગલને ફરીથી ઊભા કરી શકાય છે. ફ્રૂટ-ઈટિંગ ચામાચીડિયા આફ્રિકી વુડલેન્ડમાં અસરકારક સાબિત થયા છે. આફ્રિકી વુડલેન્ડમાં 800 હેક્ટર જંગલને ફરીથી હરિયાળુ બનાવવવામાં આવી રહ્યું છે. ચામાચીડિયા જાણીજાેઈને માનવવસ્તીમાં વસવાટ નથી કરી રહ્યા. ચામાચીડિયા સામાન્ય રીતે ગુફા અને અંધારી જગ્યાઓમાં રહે છે.

કુદરતી અને જંગલ જેવા વાતાવરણમાં પ્રાણીઓ ખુશ, જાણો કેવી રીતે

વડોદરા શહેરના કમાટીબાગ ઝૂ માં જૂના પીંજરાઓ ને સ્થાને નવા એન્ક્લોઝર બનતા ડિસેમ્બર માસમાં વાઘ, સિંહ અને દીપડાઓનુ તેમાં સ્થળાંતર કરાયુ છે. જેથી તેમને જંગલ જેવુ અનુકૂળ વાતાવરણ મળતા તેમના ખોરાકમાં વધારો થવાની સાથે હૃષ્ટપુષ્ટ બન્યા છે, તેમ ઝૂ ના ક્યુરેટરનુ કહેવુ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, ‘ અત્યાર સુધીમાં 2 સિંહ, 2 વાઘ અને 6 દીપડાઓ નુ, નવા તૈયાર થયેલા એન્ક્લોઝરમાં સ્થળાંતર કરાયુ છે. કુદરતી અને જંગલ જેવુ વાતાવરણ મળતા જ તેમના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો છે. સામાન્ય રીતે જ્યારે તેઓ પીંજરામાં હતા, ત્યારે પૂરતો ખોરાક લેતા હતા. પરંતુ તેના શરીરમાં કોઈ ફેરફાર દેખાતો નહોતો. પરંતુ છેલ્લા પાંચ મહિનામાં તેમનો ખોરાક થોડો વધ્યો છે, સાથે જ તેમની તંદુરસ્તીમાં પણ વધારો થયો છે.’ ખોરાક લીધા બાદ તેઓ અહીં બનાવેલા નાનકડા તળાવ, ઘાસના મેદાનમાં મોજથી હરેફરેે છે. ઉપરાંત ગરમી સામે રક્ષણ આપવા તેમની પર પાણીથી છંટકાવ થાય છે. જેથી બપોરના સમયે આરામથી ઊંઘી જાય છે. હાલ સહેલાણીઓ માટે ઝૂ બંધ હોવાથી લોકોની દખલગીરી ઓછી થતા પ્રાણીઓના સ્વભાવ શાંત થયા છે. કારણ કે લોકો જ્યારે ઝૂ માં આવે, ત્યારે મનાઈ હોવા છતાં પ્રાણીઓ સાથે અટકચાળા કરતા જોવા મળે છે.

ઉત્તર પ્રદેશમાં આ નદી કાંઠે મળી કાચબાની દુર્લભ એક પ્રજાતિ

ઉત્તર પ્રદેશમાં દુર્લભ સ્વચ્છ કાચબા અને કુર્મની કુલ 15 પ્રજાતિઓમાંથી સૌથી વધુ 11 પ્રજાતિ એકલા બહરાઈચ જિલ્લાની સરયૂ નદીમાં મળી આવી છે. કાચબાઓ પર રિસર્ચ કરી રહેલ વન્યજીવ પ્રેમી અરુણિમાએ જિલ્લાની સરયૂ નદીના વિસ્તારને વિવિધ પ્રજાતિઓના દુર્લભતમ કાચબાઓના પ્રાકૃતિક પ્રવાસ અને ઉત્પત્તિને શ્રેષ્ઠ સ્થળ ગણાવ્યું છે. કાચબાની પ્રજાતિઓને આસાનીથી ઓળખવા અને તેને યોગ્ય સ્થાન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કાચબા દિવસ પર ગત રવિવારે એક વેબસાઈટ અને એક એપ લૉન્ચ કરવામાં આવી. સરયૂ નદીના કાંઠે ત્રણ વર્ષથી કાચબાઓ પર સંશોધન કરી રહેલ અરુણિમાએ જણાવ્યું કે બહરાઈચમાં સરયૂને કાંઠો કાચબાના સર્વાઈવલ માટે શ્રેષ્ઠ છે. રાજ્યમાં કાચબાની 15 પ્રજાતિઓમાંથી સરયૂ કાંઠે 11 પ્રજાતિઓ મળી આવવી બહુ સૌભાગ્યની વાત છે. અરુણિમાનું કહેવું છે કે આટલી બધી પ્રજાતિઓ મળવાથી એવું પ્રતીત થાય છે કે આ વિસ્તાર કાચબાઓની ઉત્પત્તિ માટે ઘણું અનુકૂળ છે. માટે 2008થી તેના સંરક્ષણ માટે અહીં એક પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. તેઓ પણ 2018થી આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ટીમ સ્કૂલના બાળકો, માછીમારો અને નદી કાંઠે રહેતા લોકોને કાચબાઓ વિશે જાગરુત કરે છે. નવી વેબસાઈટ અને એપની મદદથી હવે દુર્લભ પ્રજાતિઓને વધુ આસાનીથી ઓળખી અને બચાવી શકાય. સરયૂ નદીમાં કાચબાઓની વિવિધ પ્રજાતિઓની ઓળખ અને સંરક્ષણ પર 2008થી ત્યાં કામ કરી રહેલ સ્વૈચ્છિક સંસ્થા ‘ટર્ટલ સર્વાઈવલ એલાયન્સ ઈન્ડિયા’ના પ્રતિનિધિ અને શોધકર્તા અરુણિમા સિંહે જણાવ્યું કે ભારતમાં કાચબાની 29 પ્રજાતિઓ મળી આવે છે, જેમાં 24 પ્રજાતિના કાચબા (ટૉરટૉઈજ) અને પાંચ પ્રજાતિના કુર્મ (ટર્ટલ) છે. તેમણે જણાવ્યું કે આ તમામ ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની વિવિધ અનુસૂચિઓ અંતર્ગત સંરક્ષિત છે. પરંતુ આ કાચબાઓની પ્રજાતિઓ, તેમના વિચરણ માટે ક્ષેત્રો અને પ્રકૃતિમાં તેના પારિસ્થિક મહત્વ વિશે લોકો વધુ નથી જાણતા.