વલસાડ: નવાવાસ ગામ ખાતે તારની વાડમાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું
ઉમરગામના નવાવાસ ગામ ખાતે એક દીપડો તારની વાડ કૂદીને ભાગવા જતો હતો, જે દરમિયાન તે તારની વાડમાં ફસાઈ ગયો હતો. વાડમાં દીપડો ફસાયો હોવાની જાણ સ્થાનિક લોકો અને આગેવાનોએ વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ અનુસાર દીપડો તારની વાડમાં ફસાતા સ્થાનિક લોકો અને આગેવાનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાને પાંજરે પુરવા પ્રયત્નો હાથ ધર્યો હતા. વન વિભાગના કર્મચારીઓએ કલાકોની ભારે જહેમત બાદ દીપડાનું સ્થળ પર રેસ્ક્યૂ કરી દીપડાને પાંજરે પૂર્યો હતો.
છેલ્લા ઘણા સમયથી ઉમરગામના અલગ અલગ વિસ્તારોમાં દીપડો દેખાયો હતો. ઉમરગામના વન વિસ્તારમાંથી દીપડોઓ માનવ વસ્તી નજીક આવી રહ્યા છે ઉમરગામ વિસ્તરમાં જ રાજ્યના વન મંત્રી રહે છે. વન મંત્રી ઉમરગામ વિસ્તારના જંગલોમાં રહેતા દીપડાઓને માનવ વસ્તીથી દૂર રાખવા પ્રયત્ન હાથ ધરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.
જાણો, દીપડા વિશેના 10 રહસ્યો જે તમે કયારેય નહિ જાણ્યા હોય
બિલાડી કુળની આ પ્રજાતી તેના કુળમાં સૌથી વધુ વ્યાપ ધરાવતું પ્રાણી દીપડો છે.
દીપડો જેને લેપર્ડ અથવા તો પેંથર તરીકે જાણીએ છીએ દીપડો(Leopard) કચ્છથી લઈ ડાંગ સુધી અને ગીરનાં જંગલ તથા તેની આજુબાજુના વિસ્તારમાં જોવા મળે છે. દીપડો (Leopard)150 થી 120 સે.મી લંબાઈ ધરાવતા આ પ્રાણીનું વજન 30 થી 60 કિલોગ્રામ હોય છે. દીપડો(Leopard) સામાન્ય રીતે પક્ષીઓ, સરીસૃપો, કરચલાં તેનો મુખ્ય ખોરાક છે. માનવ વસાહતોની નજીક રહેતાં દીપડા વાછરડાં, ઘેટા, બકરા, મરઘા, અને કુતરાનો પણ શિકાર કરે છે.

આ રાજયના પ્રાણી સંગ્રહાલયમાં મગરની નસબંધી કરાશે, જાણો કારણ
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના વિજાપુર રોડ સ્થિત મહાત્મા ગાંધી પ્રાણી સંગ્રહાલયમાં મગરની વધતી વસતીને જોતાં હવે પ્રશાસને તેમની નસબંધીનો અનોખો વિકલ્પ અપનાવ્યો છે.અત્યાર સુધી લોકોએ શ્વાન કે બિલાડાની નસબંધી વિશે સાંભળ્યું હશે. પરંતુ મગરની નસબંધી વિશે કદાચ કોઈએ જ સાંભળ્યું નહીં હોય.
મગરની સંખ્યા વધતાં તેઓ નદી, નાળા વાટે આસપાસના રહેણાંક વિસ્તારોમાં ચાલ્યાં જતાં હોવાની અનેક ફરિયાદો વારંવાર સ્થાનિકો કરે છે. સોલાપુર શહેર વચ્ચેથી વહેતા નાળાના કાદવમાં કેટલાંય સમયથી મગર જોવા મળે છે.ગત સપ્તાહે પણ એક અઢી ફૂટનો મગર દેખાયો હતો.
સ્થાનિકોનો આરોપ છે કે આ મગર પ્રાણી સંગ્રહાલયનો છે. જોકે પ્રાણી સંગ્રહાલય પ્રશાસનનું કહેવું છે કે એ મગર અમારો નથી. અમારી પાસે 20 મગર છે. 20 વરસ પહેલાં ભીમા નદીમાં આવેલ પૂર દરમ્યાન એક મગર વહીને રસ્તા પર આવતાં તેને પકડીને પ્રાણી સંગ્રહાલયમાં લવાયું હતું. 12 વર્ષ બાદ ખબર પડી કે તે મગર માદા છે. ત્યારબાદ તેને માટે ચેન્નઈથી સાત ફૂટ લાંબો મગર લાવવામાં આવ્યો. આ માદા-નર મગરે અનેક મગરોને જન્મ આપ્યો અને હવે તેમની દેખભાળમાં મહાનગરપાલિકા પ્રશાસનને બહોળો ખર્ચ ભોગવવો પડતો હોવાથી મગરોની નસબંધી કરવાનો નિર્ણય પ્રશાસને લીધો છે.
અમરેલી: રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે એશિયાટીક સિંહ ઈજાગ્રસ્ત
અમરેલીનાં રાજુલા નજીક ઉચૈયા પાસેના ફાટક પર વધુ એક વખત સિંહો માટે કમનસીબ સાબિત થયો છે. વહેલી સવારે રાજુલા નજીક ઉચૈયા ગામના ફાટક નં.15 પાસેથી રેલવે લાઇન ક્રોસ કરી રહેલા એક સિંહને પસાર થતી માલગાડીએ અડફેટે લીધો હતો. જેમાં સિંહને ગંભીર ઇજાઓ થવા પામી હતી. અકસ્માતની જાણ વન વિભાગને થતાં અધિકારીઓ અને કર્મચારીઓએ ઈજાગ્રસ્ત સિંહને વધુ સારવાર માટે જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં મોકલી આપ્યો છે.
ટ્રેનની અડફેટે સિંહ આવી ચડતાં સિંહ પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાછલા કેટલાક વર્ષોમાં ટ્રેન અને માર્ગ અકસ્માતમાં સિંહોના થઈ રહેલા મોતને લઈને સિંહ પ્રેમીઓ પણ હવે રોશની સાથે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પાછલા સાતેક વર્ષમાં રાજુલા અને ઉનામાં આવેલા રેલવે ટ્રેક અને માર્ગ અકસ્માતમાં 12 કરતાં વધુ સિંહોના અકસ્માતે મોત થયા હતા. આજથી પાંચેક વર્ષ પૂર્વે ઉના નજીક માર્ગ અકસ્માતમાં એક સાથે ત્રણ જેટલા સિંહ બાળનાં મોત નિપજ્યા હોવાની ઘટના પણ સામે આવી હતી. ત્યારે વહેલી સવારે ફરી એક વખત રેલ્વે ટ્રેક સિંહો માટે મોતનું કારણ બનીને સામે આવ્યો છે.
ટ્રેન અકસ્માતમાં સિંહ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સિંહોના અકસ્માતને ઘટાડવા માટે વનવિભાગ તાકીદે કોઈ પગલા ભરે તેવી માંગ પણ હવે આગામી દિવસોમાં થતી જોવા મળશે. પરંતુ પાછલા સાત વર્ષનો ઈતિહાસ જોઈએ તો સિંહોના અકસ્માત બાદ કોઇ નોંધપાત્ર કામગીરી ખાસ કરીને રેલવે ટ્રેક પર થતા અકસ્માતોને લઈને હજુ સુધી જોવા મળી નથી. અમરેલીનાં રાજુલા નજીક ઉચૈયા પાસેના ફાટક પર વહેલી સવારે માલગાડીની અડફેટે આવી જતા એક સિંહને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતની જાણ વન વિભાગને થતા વન વિભાગે સિંહને જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.
જાણો, ગુજરાતની શાન એશિયાટીક સિંહ ( Asiatic Lion ) વિશે
વનરાજ, સાવજ, શાર્દુલ, કેસરી, ઊંટિયો, બબ્બર શેર જેવાં સ્થાનિક નામોથી પણ સિંહ ( Asiatic Lion ) ઓળખાય છે.
નર સિંહની ઉંચાઈ 260થી 270 સે.મી જેટલી હોય છે. નરનું વજન 150થી 170 કિલોગ્રામ જેટલું હોય છે. જયારે માદાનું વજન 110થી 130 કિલોગ્રામ જેટલું હોય છે. નર એશિયાટીક સિંહ ( Asiatic Lion ) ચાર વર્ષે પુખ્ત થાય છે. જયારે માદા સાડા ત્રણ વર્ષે પુખ્ત થાય છે. માદા સિંહણનો ગર્ભકાળ 105થી 110 દિવસ જેટલો હોય છે. માદા સરેરાશ બેથી ચાર બચ્ચાને જન્મ આપે છે. એશિયાટીક સિંહ ( Asiatic Lion ) માટે ઓકટોબરથી ડિસેમ્બર માસનો સમય ગાળો પ્રજનનનો હોય છે. સિંહ જંગલમાં રહેતા હોય તો તેમનું આયુષ્ય સામાન્ય રીતે બારથી પંદર વર્ષનું હોય છે.



